કતારગામની ટીપી સ્કીમનો વિરોધ દિલ્હી સુધી પહોંચ્યો : અસરગ્રસ્ત અને સરકારના ફીડબેક કોલનો વિડીયો વાયરલ, રિઝર્વેશન નહીં હટે તો આત્મહત્યા કરીશું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના ત્રણ ટીપી સ્કીમમાં રાજકીય કાવાદાવાના કારણે અચાનક રહેણાંક મિલકત પર મુકાયેલા રિઝર્વેશનનો અવાજ હવે દિલ્હી સુધી પહોંચ્યો છે. દિલ્હી ખાતેની અસરગ્રસ્તોની ફરિયાદ બાદ સરકારે ફીડબેક કોલ કર્યો હતો. જેમાં અસરગ્રસ્તે કરેલી રડતી અપીલનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. અસરગ્રસ્તે સરકારને ફીડબેક આપતા કહ્યું હતું કે જાત કમાઈથી લીધેલા મકાન પર અચાનક રિઝર્વેશન મુકાયું છે જો તે નહીં હટે તો આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સુરતના કતારગામ વિસ્તારમાં અમલમાં આવેલી ત્રણ ટીપી સ્કીમમાં રહેણાંક મિલકત પર મુકાયેલા રિઝર્વેશનના પગલે સ્થાનિક રહીશો વચ્ચે ભારે ગભરાટ ફેલાયો છે. વર્ષોથી કાયદેસર રીતે ઉભેલા મકાન પર અચાનક રિઝર્વેશન મુકાતા અસરગ્રસ્તોએ કોર્પોરેટર, મેયર, ધારાસભ્ય, સાંસદ, વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિ સુધી રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ નિકાલ ન આવતા લોકોમાં રોષ અને નિરાશા બંને વધતી જાય છે. આ સમગ્ર મામલે સરકાર દ્વારા નોંધાયેલી ફરિયાદ બાદ એક ફરિયાદીને ભારત સરકારના લોક ફરિયાદ વિભાગમાંથી ફીડબેક કોલ આવ્યો હતો. આ ફીડબેક કોલ દરમિયાન ફરિયાદીએ પોતાની આપવિતી વ્યથા સાથે રજૂ કરી હતી, તેનો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ મુદ્દો સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ થતાં સુરતના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
વાયરલ ઓડિયોમાં ફરિયાદી કહે છે કે, મિલકત ખરીદતી વખતે કતારગામ ઝોન કચેરીમાં જઈને જાતે તપાસ કરાઈ હતી અને તે સમયે કોઈ પ્રકારનું રિઝર્વેશન હતું નહીં. પરસેવાની કમાણીમાંથી પાઈ પાઈ ભેગી કરીને કાયદેસર રીતે મિલકત ખરીદવામાં આવી હતી. પરંતુ વર્ષ 2022માં અચાનક 25 વર્ષથી વધુ સમયથી ઉભેલા મકાન પર રિઝર્વેશન મુકવામાં આવ્યું તે તદ્દન ખોટું છે.
ફરિયાદીએ ફીડબેક કોલ દરમિયાન ભાવુક અપીલ કરતાં કહ્યું હતું કે, જો આ રિઝર્વેશન હટાવવામાં નહીં આવે તો ગરીબ લોકો પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કોઈ સરકારી જમીન પચાવી નથી, તમામ મિલકતો કાયદેસર છે અને તેના પુરાવા રૂપે દસ્તાવેજો, વેરા બિલ, લાઈટ બિલ, ગેસ બિલ સહિત તમામ આધાર ઉપલબ્ધ છે.
પરંતુ અચાનક નેતાઓ અને અધિકારીઓએ ભેગા મળીને અમારી કાયદેસરની મિલકત પર રિઝર્વેશન મુકી દીધું બસ મહેરબાની કરીને આ દૂર કરાવી આપો. અમે ખોટા નથી પરંતુ અધિકારીઓએ ખોટું કર્યું છે પહેલા જ્યાં રિઝર્વેશન હતું તે એ લોકોએ વેચી દીધું છે. ત્યાર પછી રિઝર્વેશનની જગ્યા ન રહેતા અમારા કાયદેસરના ઉભેલા મકાન પર રિર્ઝેશન મુકી દેવામાં આવ્યું છે. જ્યાં કોઈ દિવસ રિર્ઝેશન ન હતું તેની પર રિઝર્વેશન મુકી ગરીબોના મકાન પર મૂકી દેવામા આવ્યુ છે અમારી પાસે તો લડવા માટે પણ પૈસા નથી અમે ક્યાં જઈશું ? તેવા પ્રશ્ન સાથે ભાવુક અપીલ કરી રિઝર્વેશન ન હટે તો આત્મહત્યા કરવી પડશે તેવી વાત કરી હતી તે ઓડીયો ક્લીપ હાલ વાયરલ થતા અનેક અટકળો શરુ થઈ છે.
ફીડબેક કોલમાં વારંવાર વડાપ્રધાનને મળવા વિનંતી
ફીડબેક કોલમાં અસરગ્રસ્ત વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી ગરીબોના મકાન પરથી રિઝર્વેશન હટાવવા માટે મળવાની માંગણી કરી હતી. તેઓએ કહ્યું હતું કે, અમે તો ભાજપના જ માણસો છીએ અને રહીશું અમે મોદીને ઘણું માનીએ છીએ. પરંતુ સ્થાનિક વહીવટી અમને ડુબાડી દીધા છે અને તમારી પાર્ટીને પણ ડુબાડી દેશે. જો તમે પગલાં નહીં લેવામાં આવે તો આ લોકો મોદીનું નામ ખરાબ કરી રહ્યાં છે. દસ હજાર લોકો ભીખ નહી પરંતુ હક્ક માંગવા નીકળ્યા હતા તેથી લોકોને હક આપવામાં આવે તે જરૂરી છે આવું કહેવા સાથે ફરી વડાપ્રધાનને મળવા માટે વિનંતી કરી હતી.
વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાનનું એક સપનું છે દરેકને ઘર આપવાનું પણ લોકોના ઘર લેવાનું નથી. આ લોકો અમારા ઘર છીનવવા માંગે છે અમારે સરકાર પાસે કંઈ જોઈતું નથી. અમારા જે ઘર છે તે રહેવા દો બસ એટલી જ વિનંતી છે તેવું કહ્યું હતું.








