Gujarat

સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકાઈ નરોડા પાટિયા ફલાયઓવરબ્રિજ માટે ૩૦મીટરનો રોડ ૪૫ મીટરનો કરાશે

By GS TEAM
4 Oct 20252 mins read
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકાઈ  નરોડા પાટિયા ફલાયઓવરબ્રિજ માટે ૩૦મીટરનો રોડ ૪૫ મીટરનો કરાશે

  અમદાવાદ,શુક્રવાર,3 ઓકટોબર,2025

અમદાવાદમાં નરોડા પાટિયા પાસે રુપિયા ૨૩૦  કરોડના ખર્ચે અંદાજે અઢી કિલોમીટર લાંબો થુ્ ફલાયઓવરબ્રિજ બનાવવા મંજૂરી અપાઈ છે.દેવી સિનેમાથી ગેલેકસી જંકશન સુધી પાઈલની કામગીરી ચાલે છે.જે ટૂંકસમયમાં પુરી કરાશે.જમણી બાજુએ ફાઉન્ડેશનની કામગીરી કરતા પહેલા ૩૦ મીટર પહોળાઈનો રોડ ૪૫ મીટર પહોળો કરવા તથા રોડ લાઈનનો અમલ કરી બંને તરફ ૭.૫૦ મીટરના સર્વિસ રોડ બનાવવાની મંજૂરી માંગતી દરખાસ્ત આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાઈ છે.

કોર્પોરેશનના ઈજનેર બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા  ગેલેકસી સિનેમા જંકશનથી દેવી સિનેમા જંકશન થઈ નરોડા પાટિયા જંકશન એમ ત્રણ જંકશનને આવરી લેતો થુ્ ફલાયઓવરબ્રિજ બનાવવા રચના કન્સ્ટ્રકશનને કામગીરી આપવામા આવી છે.નરોડા પાટિયાથી સુતરના કારખાના સુધી હયાત ૩૦ મીટરનો રસ્તો ૬૦ મીટર કરવા રોડલાઈન મુકવામા આવી હતી.જે પૈકી નરોડા પાટિયાથી નરોડા બેઠક ત્રણ રસ્તા સુધીની રોડલાઈનમા આવતા બાંધકામોને કોર્પોરેશન તરફથી નોટિસ આપવામા આવી હતી.પરંતુ બ્રિજ પ્રોજેકટની રજૂઆત મુજબ, હાલ બ્રિજના કામ માટે ૪૫ મીટર પહોળા રોડની જરુરીયાત હોવાથી આ રોડલાઈન પૈકી ટી.પી.સ્કીમ-૩૯ના ફાઈનલ પ્લોટ નંબર-૨૩૯ તથા ૭૦૮ આગળ રસ્તાની પહોળાઈ ૩૦ મીટર છે ત્યાં ૪૫ મીટર મુજબ રોડલાઈનનો અમલ કરવો જરુરી છે.જેમાં ત્રણ રહેણાંક અને દસ કોમર્શિયલ બાંધકામ કપાતમા આવે છે.જેમને નિયમ મુજબ વળતર આપવાનુ થશે.

વાડજ ફલાયઓવરબ્રિજનુ કામ માર્ચ-૨૬મા પુરુ કરાશે

કોર્પોરેશન દ્વારા વાડજ જંકશન ઉપર રુપિયા ૧૦૭ કરોડના ખર્ચે ફલાયઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવા રચના કન્સ્ટ્રકશનને કામ અપાયુ છે.આ બ્રિજની કામગીરી માટે વાડજથી રાણીપ તરફ જવાનો એક રસ્તો બે મહીના માટે બંધ કરાયો છે. બ્રિજની કામગીરી પુરી થયા પછી અંડરપાસ બનાવવાની કામગીરી શરુ કરાશે એમ સત્તાવારસૂત્રમાંથી જાણવા મળ્યુ છે.