Get The App

ભગવતીપરામાં બંધ મકાનમાંથી રૂા. 19 લાખની માલમત્તાની ચોરી

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
ભગવતીપરામાં બંધ મકાનમાંથી રૂા. 19 લાખની માલમત્તાની ચોરી 1 - image


પોલીસે શકમંદોની પૂછપરછ શરૂ કરી, ભેદ ઉકેલાઇ જવાની શક્યતા

વિધવા પુત્ર-પુત્રી સાથે ભાઈને ત્યાં માતાજીની બેઠકના પ્રસંગમાં ગયા બાદ તસ્કરો ત્રાટક્યા

રાજકોટ: ભગવતીપરા શેરી નં. ૧૫માં આવેલા બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂા. ૧૮.૯૫ લાખની મત્તાની ચોરી કરી ગયા હતાં. બી ડીવીઝન પોલીસ સાથે ક્રાઇમ બ્રાંચ, એલસીબીના સ્ટાફે તપાસમાં ઝંપલાવ્યું હતું. શકમંદોને પોલીસે સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી છે. જેના આધારે ભેદ ઉકેલાઇ જાય તેવી શક્યતા છે.

મકાન માલિક નિલાબેન મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ.૫૦)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૦૧૯માં કિડનીની બીમારી સબબ તેના પતિનું અવસાન થયું હતું. સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. પુત્ર ઘર નજીક લાકડાનો ડેલો ધરાવે છે. ગઇકાલે રાત્રે નવા થોરાળાની રામનગર સોસાયટીમાં રહેતા તેના ભાઈ મનુભાઈ કોશિયાને ત્યાં માતાજીની બેઠક હતી. જેથી રાત્રે નવેક વાગ્યે મકાનને તાળું મારી પુત્રી સાથે ત્યાં ગયા હતાં.

તે વખતે પુત્ર સુરેન્દ્રનગર ગયો હતો. જે ત્યાંથી સીધો ત્યાં આવ્યો હતો. માતાજીની બેઠક બાદ ભાઈ મનુભાઈના ઘરે જ રાત રોકાઇ ગયા હતાં. વહેલી સવારે છએક વાગ્યે પોતાના ઘરે આવીને જોયું તો નવેળાની બાજુમાં આવેલ બારીનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો. નવેળાનો દરવાજો પણ ખૂલ્લો હતો. 

બેડરૂમના પીવીસી કબાટના દરવાજા  ખૂલ્લા હતાં. ડ્રોઅરના લોક પણ તૂટેલા જોવા મળ્યા હતાં. બધો સામાન વેરવિખેર પડયો હતો. ડ્રોઅરમાં રાખેલા રૂા. ૯.૬૦ લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના ગાયબ જોવા મળ્યા હતાં. તત્કાળ જેઠ દિનેશભાઈને જાણ કરી ઘરે બોલાવ્યા બાદ પોલીસમાં કોલ કર્યો હતો.

તે સાથે બી ડીવીઝન પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચ અને એલસીબીનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. સીસીટીવી કેમેરામાં એકાદ તસ્કર જોવા મળ્યો હતો. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી શકમંદોની પૂછપરછ શરૂ કરી છે. જેના આધારે ટૂંક સમમયાં ભેદ ઉકેલાઇ જાય તેવી શક્યતા પોલીસે દર્શાવી છે. 

Tags :