ભગવતીપરામાં બંધ મકાનમાંથી રૂા. 19 લાખની માલમત્તાની ચોરી
પોલીસે શકમંદોની પૂછપરછ શરૂ કરી, ભેદ ઉકેલાઇ જવાની શક્યતા
વિધવા પુત્ર-પુત્રી સાથે ભાઈને ત્યાં માતાજીની બેઠકના પ્રસંગમાં ગયા બાદ તસ્કરો ત્રાટક્યા
મકાન માલિક નિલાબેન મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ.૫૦)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૦૧૯માં કિડનીની બીમારી સબબ તેના પતિનું અવસાન થયું હતું. સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. પુત્ર ઘર નજીક લાકડાનો ડેલો ધરાવે છે. ગઇકાલે રાત્રે નવા થોરાળાની રામનગર સોસાયટીમાં રહેતા તેના ભાઈ મનુભાઈ કોશિયાને ત્યાં માતાજીની બેઠક હતી. જેથી રાત્રે નવેક વાગ્યે મકાનને તાળું મારી પુત્રી સાથે ત્યાં ગયા હતાં.
તે વખતે પુત્ર સુરેન્દ્રનગર ગયો હતો. જે ત્યાંથી સીધો ત્યાં આવ્યો હતો. માતાજીની બેઠક બાદ ભાઈ મનુભાઈના ઘરે જ રાત રોકાઇ ગયા હતાં. વહેલી સવારે છએક વાગ્યે પોતાના ઘરે આવીને જોયું તો નવેળાની બાજુમાં આવેલ બારીનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો. નવેળાનો દરવાજો પણ ખૂલ્લો હતો.
બેડરૂમના પીવીસી કબાટના દરવાજા ખૂલ્લા હતાં. ડ્રોઅરના લોક પણ તૂટેલા જોવા મળ્યા હતાં. બધો સામાન વેરવિખેર પડયો હતો. ડ્રોઅરમાં રાખેલા રૂા. ૯.૬૦ લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના ગાયબ જોવા મળ્યા હતાં. તત્કાળ જેઠ દિનેશભાઈને જાણ કરી ઘરે બોલાવ્યા બાદ પોલીસમાં કોલ કર્યો હતો.
તે સાથે બી ડીવીઝન પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચ અને એલસીબીનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. સીસીટીવી કેમેરામાં એકાદ તસ્કર જોવા મળ્યો હતો. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી શકમંદોની પૂછપરછ શરૂ કરી છે. જેના આધારે ટૂંક સમમયાં ભેદ ઉકેલાઇ જાય તેવી શક્યતા પોલીસે દર્શાવી છે.