Get The App

કલેક્ટર કચેરીમાં ખોટું સોગંદનામું રજૂ કર્યું વેમાલીની ૫૦ ચો.મી. ના બદલે ૧૭૪૬ ચો.મી. ખેતીની જમીન બિનખેતીમાં કરાવી

સરકારને ગેરમાર્ગે દોરવા બદલ જમીનના માલિકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
કલેક્ટર કચેરીમાં ખોટું સોગંદનામું રજૂ કર્યું  વેમાલીની ૫૦ ચો.મી. ના બદલે ૧૭૪૬ ચો.મી. ખેતીની જમીન બિનખેતીમાં કરાવી 1 - image

વડોદરા, તા.28 વડોદરા નજીક વેમાલીમાં આશરે રૃા.૩ કરોડની કિંમતની માત્ર ૫૦ ચો.મી. જમીન બિનખેતીમાં ફેરવવાને પાત્ર હોવા છતાં માલિકોએ ૧૭૪૬ ચો.મી. જમીન એનએ કરાવવા માટે સોગંદનામામાં ખોટી વિગતો જાહેર કરી હોવાનું બહાર આવતા આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

આ અંગેની વિગત એવી છે કે વેમાલીમાં આવેલી ૧૭૪૬ ચો.મી. ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા માટે ગોસાઇ જિગ્નેશ અરવિંદભારથી અને ક્રિષા દિલીપકુમાર રાજાઇ (રહે.પ્રમુખપ્રિત પાર્ક, હરણી-વારસિયા રોંગરોડ) દ્વારા કલેક્ટર કચેરીમાં અરજી કરવામાં આવતા ટીપી કપાત બાદ ૧૨૨૨.૨૦ ચો.મી. જમીન બિનખેતીમાં ફેરવવા માટે મંજૂરી અપાઇ હતી. પરંતુ રિયેશ જયંતિભાઇ પટેલ (રહે.યોગીન ફ્લેટ, ચીકુવાડી, અલકાપુરી)એ કલેક્ટરના આ હુકમ સામે વાંધો રજૂ કરી બિનખેતીના ક્ષેત્રફળમાં ક્ષતિ હોવાનું જણાવી ૧૨૨૨.૨૦ ચો.મી.ના બદલે માત્ર ૫૦ ચો.મી. કરવા અને સોગંદનામા સહિતની ખોટી માહિતી રજૂ કરવા બદલ બીએનએસ મુજબ કાર્યવાહી કરવા માંગણી કરી  હતી.

બાદમાં બિનખેતીના અરજદારો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરાઇ  હતી અને હાઇકોર્ટ દ્વારા તા.૫મે ૨૦૨૫ના રોજ ડાયરેક્શન આપવામાં આવેલ તે મુજબ જિલ્લા કલેક્ટર સમક્ષ સુનાવણી રાખવામાં આવી હતી અને બાદમાં કલેક્ટરે બિનખેતી અંગે ખોટું સોગંદનામું રજૂ કરવા અંગે અરજદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે બિનખેતીના અરજદારોના વડીલો પાસેની જમીન પૈકી યુએલસીની કાર્યવાહી તેમજ ડ્રાફ્ટ ટીપી આખરી થતાં કબજેદારોને તેમના હિસ્સાની ૫૦ ચો.મી. જમીન મળવાપાત્ર રહેતી હોય છે જેથી તેટલી જમીન જ બિનખેતીમાં મળવાપાત્ર હોવા છતાં પૂરેપૂરી ૧૭૪૬ ચો.મી. જમીન બિનખેતી માટે અરજી કરી સ્વઘોષણાપત્રમાં પણ ખોટી હકિકતો જાહેર કરી હતી.



Tags :