Gujarat

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે

By GS TEAM
25 Mar 20261 min read
કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી  હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે
symbolic
વડોદરાઃ હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા દરમિયાન કોમી છમકલું થયા બાદ ગયા વર્ષે બદલાયેલો રૃટ આ વર્ષે પણ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે હરણીના પંચમુખી હનુમાન મંદિરેથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરા, ભાંડવાડા, ભૂતડી ઝાંપા,જીવન ભારતી થઇને બહુચરાજી રોડ રામજી મંદિરે જતી હતી.જે દરમિયાન અગાઉ આ શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં ગયા વર્ષે પોલીસ કમિશનરે રૃટ બદલીને પરવાનગી આપી હતી.

આ વખતે આયોજકોએ અગાઉના જૂના રૃટને મંજૂરી આપવા માટે માગણી કરી હતી. પરંતુ આજે મોડી સાંજે પોલીસ કમિશનર સાથે આયોજકોની મીટિંગ બાદ ગયા વર્ષે જે રૃટ મંજૂર રખાયો હતો તે જ રૃટે થી યાત્રા કાઢવા માટે સહમતી સધાઇ હતી.આમ, હવે એલએન્ડટી સર્કલેથી નીકળીને શોભાયાત્રા, અમિતનગર,પાણીની ટાંકી,ઇન્દિરા બ્રિજ, શ્રીનાથ પેટ્રોલપંપ થઇને જીવનભારતી વાળા માર્ગે બહુચરાજી રોડ પહોંચશે.