ધો.૧૨ સામાન્ય પ્રવાહના રિઝલ્ટ બાદ યુનિ.માં સ્થાનિક વિદ્યાર્થીઓનો એડમિશનનો પ્રશ્ન વિકટ બનશે
૧૨૦૦૦ પાસ થયા છે ઃ કોમર્સ અને આર્ટસની ક્ષમતા ૮૦૦૦ની છે ઃ ૧૦૦૦ સીટ બહાર માટે છે ઃ ૩૦૦૦ ક્યાં જશે ?
વડોદરા, તા.6 ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. છેલ્લા ૮ વર્ષનું સૌથી વધુ ૮૭.૭૭ ટકા રિઝલ્ટ જાહેર થયું છે, એટલે કે આશરે ૧૨૦૦૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેના લીધે યુનિ.માં એડમિશનનો પ્રશ્ન વિકટ બનશે.
એમ.એસ. યનિ.માં કોમર્સ ફેકલ્ટીમાં આશરે ૬૦૦૦ સુધીને પ્રવેશ મળી શકે તેમ છે, જ્યારે ૧૫૦૦ થી ૨૦૦૦ વિદ્યાર્થીઓ આર્ટસમાં એડમિશન લે તેવી શક્યતા છે. બીબીએ અને ખાનગી કોલેજોને બાદ કરતા આશરે ૩ હજાર વિદ્યાર્થીઓને તકલીફ પડશે. કેમકે ૧૦૦૦ સીટ બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અનામત રખાય છે.
ગયા વર્ષે કોમર્સ ફેકલ્ટીમાં એડમિશનનો પ્રશ્ન વિકટ બન્યો હતો. સ્થાનિક વિદ્યાર્થીઓ રખડી પડે તેવી સ્થિતિ ઊભી થતા આંદોલન શરૃ થયું હતું. મામલો છેક સરકાર સુધી પહોંચ્યો હતો. આ વખતે પણ સ્થાનિક વિદ્યાર્થીઓ રખડી પડે તેવી પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. તે સમયે એડમિશનનો મુદ્દો ખૂબ ખેંચાતા સ્થાનિકોને તકલીફ ન પડે તે માટે ૫૦૦ સીટ વધારી આપવાની લોલીપોપ અપાઈ હતી. ગત વર્ષે ધો.૧૨ રિઝલ્ટ બાદ વડોદરાના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે કે કેમ તે મુદ્દો ચર્ચામાં રહ્યો હતો, અને આંદોલનમાં પૂર્વ વિદ્યાર્થી નેતાઓ પણ કૂદયા હતા.