Gujarat

અમિતનગર સર્કલ પાસે ખાનગી વાહનોનો ફરી કબજોઃમુસાફરો બેસાડતાે કાર ચાલક PI ને ટક્કર મારી ફરાર

By GS TEAM
30 Aug 20252 mins read
અમિતનગર સર્કલ  પાસે ખાનગી વાહનોનો ફરી કબજોઃમુસાફરો બેસાડતાે કાર ચાલક PI ને ટક્કર મારી ફરાર
file
વડોદરાઃ અમિત નગર સર્કલ પાસે ફરી એક વાર મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરતા વાહનોએ કબજો જમાવવા માંડયો છે.જેને પગલે ગઇકાલે એક પોલીસ ઇન્સ્પેક્ટરે કારને અટકાવતાં કાર ચાલક તેમને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો.

અમિત નગર સર્કલ પાસે ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતા વાહનોને કારણે વારંવાર ટ્રાફિક જામ થઇ જાય છે અને અકસ્માતના પણ બનાવો બનતા હોય છે.આમ છતાં વડોદરાથી અમદાવાદની જોખમી ટ્રીપ મારતા વાહનચાલકોને કોઇ અટકાવી શકતા નથી.

આ વિસ્તારમાં વાહનો પાર્ક કરવાને માટે તેમજ મુસાફરોને  બેસાડવાના મુદ્દે હુમલાના બનાવો પણ બનતા હોય છે.ગઇ કાલે બપોરે આવો જ એક બનાવ બન્યો હતો.જેમાં ટ્રાફિકના પીઆઇ ડીબી પરમાર ફરજ પર હતા ત્યારે એક કારમાં મુસાફરોને બેસાડવામાં આવી રહ્યા હોવાથી તેમણે કાર ચાલકને અટકાવ્યો હતો.

પીઆઇ વાહનમાંથી નીચે ઉતરીને સામે આવતાં જ કાર ચાલક ફુલસ્પીડે કાર ચલાવી તેમને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો.જેથી પીઆઇ પડી ગયા હતા.પરંતુ તેમને ગંભીર ઇજાઓ થઇ નહતી.

બનાવ અંગે તેમણે કારના નંબરને આધારે હરણી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.

અમિત નગરથી મુસાફરો લઇ જતી કારને નડિયાદ પાસે અકસ્માત થતાં 10 ના મોત થયા હતા

અમિત નગર સર્કલ પાસેથી ઉપડતા વાહનો વધારે ટ્રીપ મારવા માટે બેફામ રીતે વાહનો હાંકતા હોવાથી અકસ્માતના બનાવો પણ બનતા હોય છે.

એપ્રિલ-૨૦૨૪માં અમિત નગર સર્કલથી મુસાફરોને લઇ જતી કાર અને ટ્રક વચ્ચે નડિયાદ નજીક અકસ્માત થતાં મુંબઇ, અમદાવાદ,વડોદરા,નડિયાદ જેવા શહેરોના ૧૦ મુસાફરોના મોત થયા હતા.

ફેબુ્રઆરી-૨૦૧૮માં અંબે સ્કૂલના વિદ્યાર્થી હેતને એસટી  બસે અડફેટમાં લેતાં તેનું મોત નીપજ્યું હતું.જ્યારે,પાંચ મહિના પહેલાં રોડ ક્રોસ કરવા જતાં રાજુ અંસારી નામના આઠ વર્ષના બાળકનું પણ બસની અડફેટમાં મોત થયું હતું.