Gujarat

ચરસના કેસમાં 14 વર્ષની સજા થતાં પેરોલ પર છૂટી ફરાર થયેલો શાહનવાજ પકડાયો

By GS TEAM
19 Jan 20261 min read
ચરસના કેસમાં 14 વર્ષની સજા થતાં પેરોલ પર છૂટી ફરાર થયેલો શાહનવાજ પકડાયો

વડોદરાઃ ચરસના કેસમાં ૧૪ વર્ષની કેદની સજા પામેલા અને પેરોલ પર છૂટીને ભાગી છૂટેલા આરોપીને વડોદરા એસઓજીએ ઝડપી પાડયો છે.

વડોદરા  પોલીસે જાન્યુઆરી-૨૦૨૩માં જેતલપુર ગરનાળા પાસેથી શાહનવાઝ ઉર્ફે શાનુ સલીમભાઇ શેખ(લાલ અખાડા નજીક, ફતેપુરા) અને અઝીમુદ્દીન અંસારી(બિહાર)ને ઝડપી પાડી ૪.૬૨ લાખનું ચરસ,રોકડ વગેરે મળી કુલ રૃ.૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં બીજા પણ ચાર લોકોની પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.દરમિયાનમાં શાહનવાજે પત્નીની માંદગીના મુદ્દે પાંચ દિવસના પેરોલ મેળવ્યા હતા.જે અંતર્ગત તેને તા.૯-૭-૨૫ના રોજ હાજર થવાનું હતું.પરંતુ તે હાજર થયો નહતો અને ફરાર થઇ ગયો હતો.

બીજીતરફ કોર્ટે આ કેસમાં શાહનવાઝ અને અઝીમુદ્દીનને ૧૪ વર્ષની સખ્ત કેદ અને બે લાખનો દંડની સજા ફટકારી હતી.જેથી પોલીસ સજા પામેલા શાહનવાજને શોધી રહી હતી.એસઓજીએ પાદરા કેનાલ પાસે મીરા રેસિડેન્સીમાંથી તેને ઝડપી પાડયો હતો.