Gujarat

તાલાલા ગીરથી આવકમાં ઘટાડો થતા કેસર કેરીના ભાવ ઉંચા રહ્યા

By GS TEAM
29 May 20262 mins read
તાલાલા ગીરથી આવકમાં ઘટાડો થતા કેસર કેરીના ભાવ ઉંચા રહ્યા

ડિઝલની અછત અને ભાવવધારાને લઈને

ટ્રાન્સપોર્ટેશન પ્રક્રિયા ધીમી થતા શહેરની સીઝનલ ફ્રુટ માર્કેટમાં કેસર કેરીનો ભરાવો થયો

ભાવનગરકેસર કેરીની સીઝનના પ્રારંભે ભાવનગર શહેરમાં તાલાલા ગીરથી નીયમીતપણે ૪૦ થી ૫૦ પીકઅપ વાન ભરીને કેસર કેરીનો જથ્થો આવતો હતો.  જેમાં પેટ્રોલ અને ડિઝલની અછત અને ભાવવધારાના કારણે ધરખમ ઘટાડો થતા હાલ ફકત ૧૦ પીકઅપ વાન ભરીને કેસર કેરી આવી રહી છે. જેથી ભાવનગરમાં હાલ કેસર કેરીના ભાવ ઉંચા જણાઈ રહ્યા છે.

એકબાજુ ગીર સોમનાથમાં તાલાલા ગીરની  તેમજ અલંગ અને સોસીયા પંથકની કેસર કેરીનો સ્થાનિક લેવલે ભરાવો વધી રહ્યો હોય છેલ્લા બે ત્રણ દિવસથી કેસર કેરીના ભાવમાં નજીવો ઘટાડો થયો છે. દર વર્ષે ગીર સોમનાથના તાલાલા એ.પી.એમ.સી.માંથી ૫૦ થી ૬૦ ટન કરતા વધુ કેસર કેરી વિદેશ મોકલાતી હોય છે.આ વર્ષે યુધ્ધ અને ડીઝલના ભાવવધારાના કારણે આંતર રાષ્ટ્રીય ફલાઈટ કનેકટીવીટી ધીમી પડી જતા ગીર સોમનાથથી એપ્રિલના એન્ડિંગ સુધીમાં માત્ર ૫૦ ટકા થવા પામેલ.તે જ રીતે તળાજાના અલંગ, સોસીયા,મણાર,હાથબ, મીઠી વિરડી, લાખણકા, મથાવડા, ખડસલીયા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોની કેસર કેરી પણ અન્ય પ્રાંતોમાં તેમજ વિદેશમાં ડિમાન્ડ મુજબ મોકલવામાં આવતી હોય છે. જેમાં પણ પેટ્રોલ અને ડિઝલની અછતને લઈને ટ્રાન્સપોર્ટેશન પ્રક્રિયા ધીમી થઈ જતા શહેરના ગંગાજળીયા તળાવ ખાતે કાર્યરત સીઝનલ ફ્રુટ માર્કેટમાં હાલ સોસીયા પંથકની કેસર કેરીનો જંગી જથ્થાનો ભરાવો જોવા મળી રહ્યો છે.કેરીની આવક અને વેચાણ મુજબ ભાવમાં વધ-ઘટ થતી હોય છે દરમિયાન ગત સોમવારથી બુધવાર સુધી કેસર કેરીના જથ્થાબંધ અને રીટેલ ભાવમાં એકાએક ધરખમ ઘટાડો થવા પામ્યો હતો.જયારે ગુરુવારે ભાવ ઉંચા રહ્યા છે.

અપૂરતી આવકથી કેરીના ભાવ ઉંચા રહે છે

માલની અપૂરતી આવકના કારણે તેના ભાવ ઉંચા રહે છે. તેમ જણાવી ગુરુનાનક ફ્રુટ એસોસીએશનના પ્રમુખ શૈલેષભાઈ ઠકકરે વધુમાં જણાવ્યુ હતુ કે, હાલ બજારમાં કેરીના ભાવમાં ફરી સુધારો આવી રહ્યો છે. માલનો ભરાવો થતા કેરીના ભાવમાં કિલોએ રૃા ૧૦ આસપાસનો નજીવો ઘટાડો થયો છે. હાલ બજારમાં આ સીઝનલ વ્યવસાય સાથે અંદાજે ૫૦ હજાર જેટલા શ્રમિકો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંકળાયેલા છે.