ઠાસરાના નવી રખિયાલ ગામમાં જાહેર માર્ગ ઉપર થાંભલા નાખી દબાણ
- ખેતર માલિકોએ દબાણ કરી દેતા લોકોને હાલાકી
- ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાની અરજદારોની ચિમકી
છેલ્લા ઘણાં સમયથી ઠાસરા તાલુકાના ગામડાઓમાં દબાણકર્તાઓની ફરિયાદો વધવા પામી છે. તે ફરિયાદોને લઈને તાલુકા વિકાસ અધિકારી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવાની માંગ ગ્રામ્ય વિસ્તારના રહીશો કરી રહ્યા છે. મોજે રખિયાલ ગામે સર્વે નં. ૨૩૯ના રહીશો દ્વારા સરકારી નાળમાં થઈ અને જવા માટે સાતથી આઠ ફુટનો કાયમી રસ્તો આવેલ હતો. જેને અડીને ખેતરો આવેલા છે. જે ખેતરમાલિકોએ દબાણ કરી લોખંડના થાંભલા નાખી અને નાળનો રસ્તો પુરી દીધેલ હોવાથી સર્વે નં.૨૩૯ થી આગળના ખેતરોમાં જવા માટે હાલાકી ભોગવવી પડે છે. સદર રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ કરી માત્ર બે થી ત્રણ ફૂટનો રસ્તો રાખેલ છે. જેને કારણે આગળ વસતા રહીશોના પરિવારજનો માટે અવર-જવર કરવા માટે રસ્તો ખુલ્લો કરવા અને ૧૦૮ કે ટ્રેક્ટર કે પોતાનું વાહન લઈ જવા માટે તલાટીને વારંવાર રજુઆત કરેલ હોવા છતાંય આ રસ્તો ખુલ્લો કરવામાં આવતો ન હોઈ જેને કારણે આ વિસ્તારના આશરે ૨૦ થી ૨૫ જેટલા રહીશો દ્વારા આવેદનપત્ર આપવા માટે જિલ્લા કલેક્ટર કચેરીએ આવતીકાલે જવાના હોય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે.
સર્વે નંબરમાં રસ્તો છે, નકશો જોયા બાદ નિર્ણય લેવાશે : તલાટી
આ બાબતે રખીયાલ ગ્રામપંચાયતના તલાટી જયપાલભાઈના જણાવ્યા પ્રમાણે સર્વે નંબરમાં જવાનો રસ્તો છે. નાળનું માપ પંચાયતમાં નથી માટે ડીએલઆરમાંથી નકશો મંગાવ્યો છે પછી કોઈ નિર્ણય લેવાશે.