'મીઠા'ને પણ આવશ્યક વસ્તુમાં ગણી મીઠાના ઉત્પાદનની કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવા સરકારને રજૂઆત
- ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા ગુજરાત સરકારને કરાઇ રજૂઆત
- જો હાલ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો દેશમાં મીઠાની મોટી અછત ઊભી થઇ શકે
અમદાવાદ, તા. 14 એપ્રિલ 2020 મંગળવાર
કોરોના સંક્રમણને રોકવા માટે વડાપ્રધાને આપેલુ 21 દિવસનું નેશનલ લોકડાઉન આજે પૂરૂ થયું છે પરંતુ વડાપ્રધાને આજે દેશ જોગ સંબોધન કરતાં વધુ 19 દિવસનું નેશનલ લોકડાઉન જાહેર કર્યું છે. જેને લઇને ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં મીઠાનું ઉત્પાદન કરતા એકમો ચિંતામાં મુકાયા છે.
ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેકચર્સ એસોસિએશન દ્વારા મીઠાનું ઉત્પાદન તેમજ પકવેલા મીઠાના હાર્વેસ્ટિંગનું કામ શરૂ કરવા માટે મંજૂરી આપવાની સરકાર સમક્ષ માગ કરવામાં આવી છે.
આ અંગે એસોસિએશનના પ્રમુખ ભરત રાવલે જણાવ્યું કે ભારતમાં હાલ ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ સહિતના ચાર રાજ્યોમાં મીઠાનું ઉત્પાદન થાય છે અને આ ચાર રાજ્યમાં અંદાજે 12 હજાર જેટલા નાના-મોટા મીઠાના મેન્યુફેકચરર્સ અને કારખાના આવેલા છે. જેમાં માત્ર ગુજરાતમાં જ 9 હજારથી વધુ એકમો છે.
ભારતમાં ઘર વપરાશ માટે માસિક 7.5 લાખ ટન તેમજ ઔદ્યોગિક વપરાશ માટે 9.25 લાખ ટન અને નિકાસ માટે માસિક 9.25 લાખ ટન સહિત માસિક 26 લાખ ટનની ખપત છે. ભારતમાં ઘર વપરાશ તેમ જ નિકાસ માટે હજુ પણ પૂરતો મીઠાનું ઉત્પાદન એ મોસમને આધારિત છે. આખા વર્ષ દરમિયાન માત્ર 7થી 8 મહિના જ મીઠાનું ઉત્પાદન થઈ શકે છે.
આમ હજુ પણ લોકડાઉન લંબાતા જો મીઠાના ઉત્પાદન અને પકવેલા મીઠાના હાર્વેસ્ટિંગની કામગીરીને મંજૂરી આપવામાં નહીં આવે તો મોટી મુશ્કેલી ઉભી થાય તેમ છે કારણકે જૂનમાં ચોમાસું બેસી જતા વરસાદ શરૂ થઈ જાય તો પકવેલા લાખો ટન મીઠુ હરવેસ્ટિંગ પહેલા જ બરબાદ થઈ જાય તેમ છે.
ઉપરાંત હાલ મીઠાનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવે તો પણ તેની સંપૂર્ણ પ્રક્રિયા 90 દિવસની હોય છે જેથી સરકારે હાલ લોકડાઉનના સમયમાં અન્ય આવશ્યક ચીજવસ્તુઓની સેવાઓની કામગીરી મુજબ મીઠાને પણ આવશ્યક ચીજવસ્તુઓની સેવામાં ગણી કામગીરી શરૂ કરી દેવાની મંજૂરી આપવી જોઇએ.