જામનગરના ગુલાબ નગર નજીકની સોસાયટી વિસ્તારમાં ભરાતા વરસાદના પાણીનો પ્રશ્ન પહોંચ્યો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના દરબારમાં
જામનગરના ગુલાબ નગર નજીકના વિસ્તારમાં આવેલી જુદી જુદી સોસાયટીઓમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા રહે છે જે મામલે સ્થાનિક કક્ષાએ અનેક રજૂઆતો કરાયા બાદ રહેવાસીઓએ આખરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી, જેની ફળશ્રુતિ સ્વરૂપે સ્થાનિક કક્ષાએ તપાસ કરવાના આદેશો છુટ્યા હતા, અને જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકોનું નિવેદન લેવામાં આવ્યું છે, અને આ વિસ્તારમાં અડચણરૂપ એક દિવાલ કે જેને દૂર કરવા સહિતની સ્થાનિકો માંગણી કરી રહ્યા છે, અને આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો પ્રશ્ન કાયમી હલ કરી દેવા રજૂઆત કરવામાં આવી છે.
જામનગરના ગુલાબ નગર નજીકના વિસ્તારમાં આવેલી જુદી જુદી સોસાયટીઓ જેમાં નારાયણ નગર, મોહનનગર, સત્યમ કોલોની, રાજમોતીનગર સહિતની સોસાયટીઓમાં દર વર્ષે ચોમાસાની સિઝનમાં પાણી ભરાય છે, અને લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ વિસ્તારના સ્થાનિક નાગરિકોએ જામનગર મહાનગરપાલિકાના તંત્રને ઉપરાંત સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ વગેરેને તેમજ ધારાસભ્ય, સંસદ સભ્ય ને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેઓને આજ સુધી ન્યાય મળ્યો ન હોવાથી આખરે આ મામલો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લઈ જવામાં આવ્યો હતો, અને ત્યાં પણ અરજી કરાઈ હતી.
જે અરજીના અનુસંધાને જામનગર ના જિલ્લા કલેકટર દ્વારા સ્થાનિક લેવલે આ બાબતે તપાસ કરી ત્યાંના રહેવાસીઓના નિવેદન નોંધવા માટે હુકમ કરાયો હતો. જેના અનુસંધાને જિલ્લા પોલીસવડા ની આગેવાનીમાં સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા સ્થાનિક રહેવાસી એવા નારણભાઈ મુરુભાઈ આહીર નું નિવેદન લેવામાં આવ્યું હતું અને પાણી ભરાવાની સમસ્યા અને સર્વે રહેવાસીઓની રજૂઆત મામલે નિવેદન નોંધ્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગુલાબ નગરમાં પ્રભાતપરા પાસે રેલવેએ બનાવેલાં પાણીના નિકાલ માટેના પુલિયા કે જ્યાં આરસીસીની દિવાલ બનાવી દેવામાં આવે છે, અને બિલ્ડર લોબીને ફાયદો કરાવવા માટે આ બાંધકામ થયું હોવાનું પણ આક્ષેપ કરાયો છે. જે ફરી તોડીને કુદરતી પાણીનો જે નિકાલ હતો, જેને ફરીથી ચાલુ કરવા માટેની સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે. તે અંગેનો અહેવાલ તૈયાર કરીને જામનગર મહાનગરપાલિકાના કમિશનર તેમજ જિલ્લા કલેકટરને સુપ્રત કરી દેવાયો છે.