- કેન્દ્રિય ખાણ બ્યુરોએ નોટિસ ફટકારી તમામ કામગીરી, શિપમેન્ટ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો
- ખનિજ નિયમોનો ભંગ કરનાર જૂની મેસર્સ મહેન્દ્ર બોક્સાઇટ કંપનીના માલિક અને નવી કંપની વચ્ચેના જોડાણની શંકા, તંત્રની કામગીરી સામે સવાલો
નડિયાદ : ખેડા જિલ્લામાં એક માઇનિંગ લીઝ ધારક દ્વારા ખનિજ સંરક્ષણ અને વિકાસ નિયમો-૨૦૧૭નું ગંભીર ઉલ્લંઘન કર્યા બાદ, કેન્દ્રિય ખાણ બ્યુરોએ નોટિસ ફટકારી તમામ કામગીરી અને શિપમેન્ટ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આ ગંભીર કાર્યવાહીનો સામનો કરનાર એજન્સી સાથે જોડાયેલી નવી કંપનીએ હવે ઠાસરાના અમૃતપુરાની સીમમાં પુનઃ ૫ હેક્ટર વિસ્તાર માટે બોક્સાઈટ લીઝ મેળવવા અરજી કરી છે. પ્રક્રિયામાં રહેલી નવી અરજી અને ભૂતકાળમાં થયેલા નિયમોના ભંગ વચ્ચેના જોડાણથી તંત્રની ભૂમિકા સામે શંકાઓ ઉભી થઈ છે.
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તૈયબપુર વિસ્તારમાં ૦.૮૪૯૯ હેક્ટર વિસ્તાર ધરાવતી મેસર્સ મહેન્દ્ર બોક્સાઇટ કંપનીએ માઇનિંગ લીઝમાં નિયમોની અવગણના કરી હોવાનું સામે આવતા ભારતીય ખાણ બ્યુરો દ્વારા કરાયેલા નિરીક્ષણ રિપોર્ટ અને ત્યારબાદ મોકલાયેલી ઉલ્લંઘન નોટિસ તેમજ કારણ બતાવો નોટિસમાં જણાવાયું હતું કે, લીઝ ધારક મેસર્સ મહેન્દ્ર બોક્સાઇટના પ્રતિનિધિ તરીકે બ્રિજેશ રાજેશભાઈ પટેલ હાજર રહેલા હતા. જેમનું નામ નોટિસમાં પ્રાપ્તકર્તા તરીકે પણ દર્શાવેલું છે. આ લીઝમાં સૌથી ગંભીર ગેરરીતિએ હતી કે ખનિજ સંરક્ષણ અને વિકાસ નિયમાવલિ, ૨૦૧૭ના નિયમ ૫૫(૧)(૩) હેઠળ ફરજિયાત એવા સંપૂર્ણ સમયના માઇનિંગ એન્જિનિયર અને ભૂસ્તરશાીની નિમણૂક કરવામાં આવી ન હતી. આ ઉપરાંત, કંપનીએ નિયમ ૪૫નું ઉલ્લંઘન કરીને ઓનલાઈન માસિક અને વાષક રિટર્ન પણ સમયસર જમા કરાવ્યા ન હતા.
આ ગંભીર ભંગને કારણે આઈબીએમ દ્વારા કંપનીને ખાણકામની તમામ કામગીરી અને શિપમેન્ટ તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
આ ગંભીર કાર્યવાહી છતાં, હવે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના અમૃતપુરા ગામની ૫ હેક્ટર વિસ્તાર ધરાવતી બોક્સાઈટ માઇન માટે હરિકૃષ્ણ કન્ટેનર (એમએફજી) નામની નવી કંપનીએ અરજી કરી છે, જે હાલમાં પર્યાવરણીય મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં છે. દસ્તાવેજોમાં જૂની કંપનીના પ્રતિનિધિ બ્રિજેશ રાજેશભાઈ પટેલ અને નવી અરજદાર કંપની હરિકૃષ્ણ કન્ટેનર એમએપજી વચ્ચે સીધો જ સબંધ હોવાની આશંકાઓ છે. કારણ કે, બ્રિજેશ પટેલે નવી કંપની પત્નીના નામે ઉભી કરી તેના નામે લીઝ મેળવવાની અરજી કરી છે. જેથી બ્રિજેશ પટેલ સાથે સંડોવાયેલી કંપની સામે ગંભીર ઉલ્લંઘન થયા પછી તે જ વ્યક્તિ કે તેના સંબંધીત કંપની દ્વારા પાંચ ગણા મોટા વિસ્તારની લીઝ લેવા માટેની આ સક્રિયતા વહીવટી પારદશતા સામે મોટા સવાલો ઊભા કરી રહી છે. નિયમભંગ કરનાર વ્યક્તિને ફરીથી નવી લીઝ માટે વહીવટી સમર્થન મળી રહ્યું હોવાની શંકા જો સાચી ઠરે તો કેન્દ્ર સરકારની અગાઉની કાર્યવાહીની પણ અવગણના સ્થાનિક તંત્ર દ્વારા કરાશે, તે વાત સાચી ઠરે તેમ છે. આવા સંજોગોમાં આગામી દિવસોમાં ખાણ અને ખનીજ વિભાગની કાર્યવાહી પર સૌની નજર છે.
નવી લીઝની મોટી દરખાસ્ત અને 15 વર્ષનું આયુષ્ય
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની અમૃતપુરા ગામની નવી પ્રસ્તાવિત લીઝ (હરિકૃષ્ણ કન્ટેનર, એમએફજી) માટે ૫ હેક્ટરનો વિસ્તાર સૂચવાયો છે, જે જૂની વિવાદાસ્પદ લીઝ કરતાં લગભગ ૫ ગણો મોટો છે. પર્યાવરણીય અસર મૂલ્યાંકન (ઈઆઈએ) રિપોર્ટના સારાંશ મુજબ, આ માઇનનું અનુમાનિત ઉત્પાદન વાષક ૩,૫૦,૦૪૪ મેટ્રિક ટન રહેશે અને તેનું આયુષ્ય ૧૫ વર્ષનું આંકવામાં આવ્યું છે. આ નવી ખાણકામની દરખાસ્તમાં બ્લાસ્ટિંગ કર્યા વિના, અર્ધ-યાંત્રિક ઓપન કાસ્ટ પદ્ધતિથી ખનન કરવાની યોજના રજૂ કરવામાં આવી છે.


