Jamnagar : જામનગરમાં લાલપુર બાયપાસ પાસે આવેલી એક સોસાયટીમાંથી ગઈકાલે વહેલી સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં પોલીસ દ્વારા દોડધામ કરાઈ હતી, અને આખરે નવજાત શિશુને જન્મ આપી દેનાર માતાને પોલીસે શોધી કાઢી છે, અને તેણીને અધૂરા માસે કશુવાવડ થઈ હોવાનું સામે આવ્યું છે. આ બનાવથી પોલીસમાં દોડધામ મચી ગઈ હતી, અને એક પરપ્રાંતીય શ્રમિક મહિલા પરમદીને રાત્રિના શૌચક્રિયા માટે જતાં કસુવાવડ થઈ જવાથી આ બનાવ બન્યો હોવાનું સી.સી.ટી.વી કેમેરાની મદદથી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે આવેલી એક સોસાયટી વિસ્તારમાંથી ગઈકાલે સવારે ત્યજી દીધેલી અવસ્થામાં નવજાત શિશુ(ભૃણ) પડયું હોવાનું સામે આવતાં સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા, અને પોલીસને જાણ કરતા પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃત ભ્રુણનો કબ્જો મેળવીને હોસ્પિટલ ખસેડયું હતું.
પંચકોશી એ. ડીવિઝન પોલીસે ઉપરોક્ત બનાવના સંદર્ભમાં સીસીટીવી કેમેરા મારફતે ચકાસણી શરૂ કરી હતી અને આખરે મૃત બાળકને જન્મ આપનાર પ્રસુતા મહિલા સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી ગઈ હતી. જે મહિલા એમ.પી.ની વતની હોય અને પરિવાર સાથે મજુરી કામ કરતી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ પૂછપરછ સ્ત્રીએ જણાવ્યું હતું કે, તેણી રાત્રીના શૌચક્રિયા માટે જતાં બાળક બહાર આવી ગયું હતું. અને કસુવાવડ થઈ ગઈ હતી. જેથી બાળકને ત્યાં જ ત્યજી દીધુ હતું. જે બાદ પોલીસે સ્ત્રીને મેડીકલ માટે મોકલી હતી અને તેણી સ્વસ્થ હોવાથી દવાઓ આપી રજા આપી દેવાઈ હતી. જે બાદ પોલીસે મૃત નવજાત શિશુનો કબજો મહિલાને સોંપી દીધો હતો, અને અંતિમવિધિ કરવા જણાવ્યું હતું.


