રાજકોટમાં પ્રાર્થના સભામાં સર્વ ધર્મ, સમાજની વિજય રૂપાણીને પુષ્પાંજલિ
- સંતોના શાંતિ મંત્રોચ્ચાર, જૈન મુનિનાં માંગલિક સાથે
- કાલે ગાંધીનગરમાં તા.૨૦ના પ્રદેશ ભાજપમાં શ્રધ્ધાંજલિ બાદ શહેર ભાજપની પ્રાર્થના સભા યોજીને તેમાં શબ્દાંજલિ અપાશે
- અરવિંદ કેજરીવાલ સહિત તમામ પક્ષના નેતાઓ, સર્વ ધર્મ- સમાજના આગેવાનો પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા
આજે નમ્રમુનિ મહારાજ,પારસ મુનિ સહિત જૈન મુનિઓએ પધારીને માંગલિક ફરમાવ્યું હતું. તો રામકૃષ્ણ આશ્રમ,સ્વામિનારાયણ મંદિર સહિતના સંતો આવ્યા હતા અને શાંતિ મંત્રોચ્ચાર કરીને પ્રાર્થના સભાને દિવ્યતા બક્ષી હતી. તેમજ વ્હોરા સમાજ તેમજ ખ્રિસ્તી સમાજના ફાધર સહિત દરેક સમાજના લોકો પણ પૂષ્પાંજલિ આપવા આવ્યા હતા.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે આવ્યા હતા અને પૂષ્પાંજલિ અર્પણ કરીને રૂપાણી પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. કોંગ્રેસના નેતાઓએ પણ અંતિમયાત્રામાં અને આજે શ્રધ્ધાંજલિ આપી હતી. ભાજપના પૂર્વ સંગઠન મંત્રી સંજય જોષી સહિત અને નેતાઓ,વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો,સાંસદો,મંત્રીઓ,હોદ્દેદારો મોટી સંખ્યામાં આવ્યા હતા. આજે પ્રાર્થના સભામાં કોઈ પ્રવચન રખાયા ન્હોતા, એલઈડી સ્ક્રીન પર વિજયભાઈના સંસ્મરણોનું પ્રસારણ કરાયું હતું.
જૈન ધર્મ અનુસાર આજે બેસણાં એટલે કે પ્રાર્થના સભા બાદ રૂપાણી પરિવારને આજે પારસ સોસાયટીમાં ભાણે બેસાડીને મરણોત્તર વિધિ પૂર્ણ કરાઈ હતી.
રાજકોટ ભાજપના સૂત્રો અનુસાર તા.૧૯ને ગુરુવારે ગાંધીનગરમાં સવારે ૯થી ૧૨ વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાશે અને તા.૨૦ના પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે રૂપાણી સહિત તમામ દિવંગતોને શ્રધ્ધાંજલિ માટે પ્રાર્થના સભા થશે. તેમજ રાજકોટ ભાજપ દ્વારા ટૂંક સમયમાં પ્રાર્થના સભા યોજાશે જેમાં સ્વ.વિજયભાઈ સાથેના સંભારણા યાદ કરીને શબ્દાંજલિ અપાશે.