પ્રતાપનગર તથા વિશ્વામિત્રી રેલ્વે સ્ટેશન રી- ડેવલપમેન્ટની કામગીરી 80 ટકા પૂર્ણ
72 કરોડના ખર્ચે પ્રતાપનગર તથા 19.53 કરોડના ખર્ચે વિશ્વામિત્રી રેલ્વે સ્ટેશનનું આધુનિકરણ
સમગ્ર દેશના રેલ્વે સ્ટેશનોને વિશ્વ કક્ષાના પરિવહન કેન્દ્રોમાં રૂપાંતરિત કરવાના હેતુથી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રૂ . 91.53 કરોડના ખર્ચે પ્રતાપનગર અને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન રી ડેવલપમેન્ટની 80 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.

પ્રતાપનગર રેલ્વે સ્ટેશન રૂ. 72 કરોડના ખર્ચે ડેવલપ થઈ રહ્યું છે. જેમાં લિફ્ટની સુવિધાથી સજ્જ 12 મીટર પહોળો ફૂટ ઓવરબ્રિજ, બંને તરફ સાડા ત્રણ મીટર પહોળો અને મધ્યમાં પાંચ મીટરનો કોરિડોર, બે નેરોગેજ લાઈનનું બ્રોડગેજ લાઈનમાં રૂપાંતર, બે નવા પ્લેટફોર્મ તથા એક નવું પ્લેટફોર્મ નંબર 4, નેરોગેજ પ્લેટફોર્મ નંબર 1નું વિસ્તરણ, વેઇટિંગ હોલ સહિતની કામગીરી પ્રગતિ હેઠળ છે. મુંબઈ તરફનો ટ્રેન વ્યવહાર પ્રતાપનગરથી પસાર થાય તો વડોદરા રેલવે સ્ટેશન ઉપરનું ભારણ ઘટશે. પ્રતાપ નગર સ્ટેશનના બંને તરફ પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે. જ્યારે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનનું રુ.19.53 કરોડના આધુનિકરણ થઈ રહ્યું છે. જેમાં વેઇટિંગ હોલ અપગ્રેડેશન, 6 મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ , અંડરપાસમાં સુધારો, બસ અને રીક્ષા માટે પાર્કિંગ ઝોન, નવું બુકિંગ ઓફિસ સહિતની કામગીરી પણ પૂર્ણતાના આરે છે.