Gujarat

વડોદરાના ચકચારી હીટ એન્ડ રન કેસમાં પ્રાંશુ ચૌહાણે ડિસ્ચાર્જ અરજી મૂકી

By GS TEAM
27 Apr 20263 mins read
વડોદરાના ચકચારી હીટ એન્ડ રન કેસમાં પ્રાંશુ ચૌહાણે ડિસ્ચાર્જ અરજી મૂકી

વડોદરા : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ગત વર્ષે થયેલા ચકચારી હીટ એન્ડ રન કેસમાં હવે કાયદાકીય જંગ તેજ બન્યો છે. આ કેસના મુખ્ય આરોપી રક્ષિત ચૌરસિયાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યા બાદ, તેની સાથે કારમાં સવાર તેના મિત્ર અને સહ-આરોપી પ્રાંશુ ચૌહાણે અદાલતમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરીને કેસમાંથી મુક્ત થવા માંગ કરી છે. જેની સામે ફરિયાદી પક્ષે લેખિતમાં વાંધો રજૂ કર્યાં છે. આ અરજીની વધુ સુનાવણી તા.૩૦ના રોજ હાથ ધરાશે અને તેમાં સરકાર તરફે દલીલો કરવામાં આવશે.

બનાવની વિગત એવી છે કે, તા.૧૩ માર્ચ ૨૦૨૫ના રોજ નશામાં ચૂર રક્ષિત ચૌરસિયાએ કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી પાસે ં પુરપાટ ઝડપે કાર ચલાવીને ૮ લોકોને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે મહિલાના પતિ સહિત અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કેસમાં મુખ્ય આરોપી રક્ષીત ચૌહાણ લાંબા સમય સુધી દેલમાં રહ્યાં બાદ હાઇકોર્ટે તેને જામીન આપતા તેનો જામીન પર છુટકારો થયો હતો.

આ ચકચારી બનાવમાં બનાવ સમયે રક્ષીચની સાથે કારમાં સાથે બેઠેલા પ્રાંશુ ચૌહાણે અત્રેની અદાલતમાં ડિસ્ચાર્જ અરજી મુકી છે જેમાં રજૂઆત કરવામાં આવી છે કે, તે માત્ર કારમાં બેઠો હતો અને ડ્રાઇવિંગ તેનો કોઈ અંકુશ નહોતો. તે પોતે આ કેસનો મહત્વનો સાક્ષી છે અને પોલીસે તેને ખોટી રીતે આરોપી તરીકે સંડોવ્યો છે. વધુમાં, તેણે દાવો કર્યો છે કે તે સતત રક્ષિતને ગાડી ધીમી ચલાવવા માટે સૂચના આપી રહ્યો હતો, પરંતુ ચાલતી ગાડીમાંથી કૂદી જવું તેના માટે શક્ય નહોતું.

અરજીમાં પ્રાંશુએ એમ પણ આક્ષેપ કર્યો છે કે તપાસ અધિકારીએ મુખ્ય આરોપીને બચાવવા માટે તેને બલિનો બકરો બનાવ્યો છે. તેની દલીલ છે કે તેની વિરુદ્ધ કોઈ સંગીન પુરાવા નથી અને માત્ર શંકાના આધારે તેની પર કેસ ચલાવી શકાય નહીં. તેણે વિવિધ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને રજૂઆત કરી છે કે તેને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવો જોઈએ.અરજીમા ફરિયાદી પક્ષના વકીલે સખત વાંધો ઉઠાવતા જણાવ્યું છે કે આ કોઈ સામાન્ય અકસ્માત નથી, પરંતુ ગંભીર ગુનો છે જેમાં સહ-આરોપીની ભૂમિકાની પણ ઊંડી તપાસ થવી જરૃરી છે.હવે અરજીની વધુ સુનાવણી તા.૩૦ના રોજ હાથ ધરાશે અને તેમાં સરકાર તરફે દલીલો કરવામાં આવશે.

ગંભીર અકસ્માત બાદ ભાગી જનાર નિર્દોષ ન હોઇ શકે : ફરિયાદ પક્ષ

પ્રાંશુ ચૌહાણ ડિસ્ચાર્જ અરજી મુકતા તેમાં ફરિયાદી પક્ષે લેખિતમાં તેના વાંધા રજૂ કર્યાં છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે, અકસ્માત બાદ પ્રાંશુ સ્થળ પરથી ભાગી ગયો હતો, જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે. જો તે નિર્દોષ હોત તો તેણે ઘાયલોને મદદ કરવી જોઈતી હતી. એક પછી એક વાહનોને ટક્કર મારવા છતાં પ્રાંશુએ હેન્ડબ્રેક ખેંચવાનો કે બૂમ પાડીને લોકોને સાવચેત કરવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. આથી, તે માત્ર પેસેન્જર નહી પણ પણ આ ગુનામાં સક્રિય સંમતિ આપનાર આરોપી છે. અદાલતે આવા ગંભીર કેસમાં ટ્રાયલ ચલાવવી જ જોઈએ અને ડિસ્ચાર્જ અરજી રદ કરવી જોઈએ.