શહીદ દિને વડોદરા શહેરમાં સવારે પ્રભાતફેરી યોજાઈ : ભાજપના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિને પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતુ. શહેરમાં ન્યાય મંદિર ફૂવારા પાસે કાર્યકરો, આગેવાનો અને શુભેચ્છકો એકત્રિત થયા હતા અને દેશભક્તિના ગીતો સાથે પ્રભાતફેરી યોજી હતી. લહેરીપુરા રોડ, બરાનપુરા, ચોખંડી માંડવી, બેંક રોડ, ચાંપાનેર દરવાજા, બાજવાડા મેઇન રોડ, ગાંધીનગર ગૃહ, ટાવર ચાર રસ્તા, માર્કેટ ચાર રસ્તા થઈ પ્રભાતફેરી નીકળી હતી.
પ્રભાતફેરીમાં એક યુવતી ભારતમાતા અને ત્રણ યુવાનો ભગતસિંહ રાજગુરુ અને સુખદેવની વેશભૂષામાં જોવા મળ્યા હતા. ડીજે પર દેશભક્તિના ગીતો વગાડતા અને ભારત માતા કી જય, શહીદો અમર રહો તેવા નારા લગાવતી આ પ્રભાતફેરી અંતમાં લાલ કોર્ટ, શહીદ ભગતસિંહ ચોક ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં ભગતસિંહની પ્રતિમાને ફૂલમાળા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભાજપ યુવા મોરચા દ્વારા છેલ્લા ઘણા વર્ષથી શહીદ દિને આ રીતે પ્રભાતફેરી યોજવામાં આવે છે અને શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાય છે. આ કાર્યકમમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની, પૂર્વ નગરસેવકો, સાથે યુવા મોરચાના પ્રમુખ અને ભાજપના અસંખ્ય કાર્યકરો જોડાયા હતા.








