Get The App

સુરેન્દ્રનગર ફિરદોષ સોસાયટીમાં પીજીવીસીએલના વાંકે છેલ્લા 3 દિવસથી વિજળી ડુલ

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
સુરેન્દ્રનગર ફિરદોષ સોસાયટીમાં પીજીવીસીએલના વાંકે છેલ્લા 3 દિવસથી વિજળી ડુલ 1 - image


- વાવાઝોડાના કારણે વિજપોલ પડી ગયા બાદ હજુ સુધી રીપેરીંગ ન થતાં રોષ

- વિજપુરવઠા વગર ત્રણ દિવસથી રહેતા સ્થાનીક રહિશો અને મહિલાઓ વિજતંત્ર સામે અકળાયા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ગુરૂવારે સાંજે વાવાઝોડા સાથે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વૃક્ષો તેમજ વિજથાંભલાઓ પડી જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે હજુ પણ અમુક વિસ્તારોમાં વિજપુરવઠો શરૂ ન થતાં સ્થાનીક રહિશો અને મહિલાઓને હાલાકી પડી રહી છે ત્યારે શહેરની ફિરદોષ સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી વિજળી ડુલ થઈ જતા લોકોમાં વીજતંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરની ફિરદોષ સોસાયટીમાં ગત ગુરૂવારના રોજ સાંજે વાવાઝોડા સાથે વરસાદને પગલે વિજપોલ પડી જતા વિજપુરવઠો ખોરવાઈ ગયો હતો જે બનાવ બાદ ત્રણ દિવસ જેટલો સમય વિતિ ગયો હોવા છતાં હજુ સુધી પીજીવીસીએલ તંત્ર દ્વારા રીપેરીંગની કામગીરી હાથધરવામાં ન આવતા છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં રહેતા લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વિજપુરવઠા વગર રહેવાનો વારો આવ્યો છે. જે મામલે સ્થાનીક રહિશો અને મહિલાઓના જણાવ્યા મુજબ પીજીવીસીએલ તંત્રને રીપેરીંગ કામ માટે અનેક વખત ટેલીફોનીક તેમજ રૂબરૂ જઈ ફરિયાદ કરી હોવા છતાં રીપેરીંગ કરવામાં આવ્યું નથી જેના કારણે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે તેમજ તાત્કાલીક પીજીવીસીએલ તંત્ર દ્વારા વિજપોલને ઉભો કરી રીપેરીંગકામ કરવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ સમગ્ર મામલે શહેરના જાગૃત નાગરિક કમલેશ કોટેચા દ્વારા સોશ્યલ મીડીયામાં વિડિયો વાયરલ કરી સમસ્યાને ઉજાગર કરવાનો પણ પ્રયાસ કર્યો છે. 

Tags :