Gujarat

ભાવનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પડેલા ખાડા અકસ્માત નોતરશે

By GS TEAM
21 Aug 20251 min read
ભાવનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પડેલા ખાડા અકસ્માત નોતરશે

- બજુડના પાટીયા પાસેના ખાડા તંત્રને દેખાતા નથી

- અકસ્માત પૂર્વે તંત્ર એક્શન લે તેવી રાહદારીઓની માંગ

ભાવનગર : ભાવનગર-રાજકોટ હાઇવે પર બજુડના પાટીયા પાસે મહિનાઓથી પડેલા ખાડા જોખમી બન્યા છે. જવાબદારો દ્વારા હકીકતથી વાકેફ હોવા છતા જાણે અકસ્માતની રાહ જોતા હોય તેવી ભૂમિકા ટીકાસ્પદ બની છે.

ભાવનગર-રાજકોટ ધોરીમાર્ગ પર મહિનાઓથી પડેલા મસમોટા ખાડા રીપેર થતા નથી. બજુડના પાટીયા પાસેનો રોડ પણ અતિ બિસ્માર થતા ગમખ્વાર અકસ્માતની પુરી સંભાવના સેવાય રહી છે અને સઘળી હકિકતે માર્ગ મકાન વિભાગ વાકેફ હોવા છતાં હજુ સુધી રિપેરીંગ કામ હાથ નહી ધરી ગુનાઇત બેદરકારીનો નમૂનો સાબિત થયેલ છે. આ રસ્તા પરથી અધિકારી, રાજકારણીઓ પણ પસાર થાય છે. પરંતુ જાહેર હિતમાં માર્ગ વિભાગને આ મુશ્કેલી દૂર કરવાનું રાજકીય આગેવાનો પણ જાણે કહી શકતા નથી કે આદેશ કરવાની હિંમત રહી નથી જે પંથકની કઠણાઇ જ ગણવી રહી. આ ગંભીર ખાડાઓના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાવાની પુરી સંભાવના હોય તાકીદે આ ખાડા રિપેર કરવા માંગ ઉઠી છે. એક તરફ ચોમાસાના વરસાદના પગલે રોડ રિપેરીંગ કામ હાથ તો ધરાય છે પણ માત્ર ઉપર ઉપર જ્યાં ખરેખર જરૂરીયાત છે તેવા રસ્તા રિપેર કરવામાં તંત્રની નિષ્કાળજી છતી થાય છે.