વડોદરા શહેરમાં વગર ચોમાસે ભુવા પડ્યા બાદ યોગ્ય રીતે પુરાણ નહીં થતા ફરી ભુવો પડ્યો
Vadodara : વડોદરા શહેરમાં વગર ચોમાસે ભુવા પડવાની ઘટનાઓ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવે છે. તેમાં પણ ભુવાના સમારકામ બાદ કેટલાક કિસ્સામાં યોગ્ય પુરાણના અભાવે ગણતરીના સમયમાં ફરી તે જ સ્થળે ભુવાનું નિર્માણ થયું હોવાના પણ કિસ્સા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
વાડી વિસ્તારના મહાદેવ તળાવ કિનારે હનુમાનજીની પ્રતિમા તરફ જવાના પ્રવેશદ્વાર નજીક એક મહિના અગાઉ ભુવા નિર્માણ થયું હતું. જો કે, તંત્રએ વેઠ ઉતારી ભૂવામાં માટી નાખી સંતોષ માન્યો હતો. હવે પરિસ્થિતિ એવી સર્જાય છે કે, તે જ સ્થળે અગાઉથી વિશાળ ભુવાનું નિર્માણ થયું છે. અને રસ્તાને નુકસાન પહોંચવા સાથે તળાવની વોલને પણ નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓને જીવના જોખમે પસાર થવાનો વખત આવ્યો છે. વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. આ માર્ગ ઉપર વરસાદી પાણીનો ભરાવો પણ થાય છે. કોઈ અનિચ્છય ઘટના ન ઘટે તે માટે વહેલી તકે સમારકામની લોકમાંગ છે.