વડોદરામાં વર્ષો જૂની ડ્રેનેજ લાઈનો પર બનેલા રોડ ઉપર પ્રેશર વધતા ભુવા પડે છે
Vadodara Corporation : વડોદરામાં રોડ પરના ભૂવા પડી રહ્યા છે, તેનું કારણ જાણવા માટે વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવા એક ટીમ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવશે. વડોદરામાં 20 થી 30 વર્ષ પહેલાં જે ડ્રેનેજ લાઈનો નાખવામાં આવી છે તે જૂની થઈ છે. આ લાઈનો ઉપર બાદમાં રોડ બન્યા છે. રોડ ઉપર લોકોની અવર-જવર અને વાહનોનું ભારણ પણ વધી ગયું છે. જેના કારણે જ્યાં લાઈનો જર્જરિત થઈ છે, ત્યાં પ્રેશર પોઇન્ટ વધ્યા છે, અને તેના કારણે પણ ભુવા પડી રહ્યા છે.
શહેરમાં આવી જે વર્ષો જૂની ડ્રેનેજ લાઈનો છે, તે રિપ્લેસ કરીને નવી નાખવામાં આવશે, અને જે લાઈનો રોડની વચ્ચે છે તેને રોડની સાઈડમાં ખસેડવામાં આવશે. જેના કારણે લાઈનો પરનું ભારણ ઓછું થાય. આ કામગીરી સરકારી અને કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી કરાવવામાં આવશે. જ્યાં પણ આવા ભુવા પડેલા છે, તેનું તાકીદે રીપેરીંગ કરવા ઉપરાંત રોડ અને ડ્રેનેજ વિભાગનું સંકલન સાધીને જૂની લાઈનો રિપ્લેસ કરવાની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવશે. બે વર્ષમાં રિપ્લેસમેન્ટનું કામ પૂર્ણ થઈ જાય તેવો અંદાજ મુકવામાં આવ્યો છે.