Gujarat

બટાટા ૨,૩૮૫, તમાકુ ૭૦૨, ઘઉં ૧,૪૨૩ અને રાઇ ૧,૮૭૦ની હેક્ટરમાં વાવેતર

By GS TEAM
16 Nov 20252 mins read
બટાટા ૨,૩૮૫, તમાકુ ૭૦૨, ઘઉં ૧,૪૨૩ અને રાઇ ૧,૮૭૦ની હેક્ટરમાં વાવેતર

ગાંધીનગર જિલ્લામાં રવી વાવેતરમાં ગતિ પકડાઇ

ખરીફ મોસમમાં થયેલાં વ્યાપક નુકસાનની સામે રવી પાકમાં આર્થિક વળતર મળે તેવી જગતના તાતને કુદરત પાસે આશા

ગાંધીનગર :  ખરીફ મોસમમાં થયેલાં વ્યાપક નુકસાનની સામે રવી પાકમાં આર્થિક વળતર મળે તેવી કુદરત પાસે આશા સાથે જગતના તાતે રવિ પાકના વાવેતરને વેગવાન કરવામાં આવ્યું છે. બટાટા ૨,૩૮૫, તમાકુ ૭૦૨, ઘઉં ૧,૪૨૩ અને રાઇ ૧,૮૭૦ની હેક્ટરમાં વાવણી સહિત ગાંધીનગર જિલ્લામાં રવિ મોસમનું કુલ વાવેતર ૧૧,૬૭૭ હેક્ટરને પાર થઇ ચૂક્યું છે. તેમાં ઘસચારો, શાકભાજી, વરિયાળી અને ચણા સહિતના પાક સામેલ છે.

ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં થયેલા વિવિધ પાકના વાવેતર સંબંધે રાજ્યના કૃષિ વિભાગના સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે જિલ્લામાં ઘાસચારાનું વાવેતર ૨,૯૬૮ હેક્ટરમાં, શાકભાજીનું ૧,૫૭૯ હેક્ટરમાં, વરિયાળીનું ૪૧૪ હેક્ટરમાં અને ચણાનું ૩૧૮ હેક્ટરમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે. અતાયર સુધીમાં સૌથી વધુ વાવેતર ૩,૮૬૦ હેક્ટર સાથે માણસા તાલુકો પ્રથમ ક્રમે, ,૨૮૦ હેક્ટર સાથે દહેગામ તાલુકો બીજા, ,૧૬૩ હેક્ટર સાથે ગાંધીનગર તાલુકો ત્રીજા અને સૌથી ઓછા ૧,૩૭૪ હેક્ટરમાં વાવેતર સાથે કલોલ તાલુકો છેલ્લા ક્રમે રહ્યાો છે. રાઇ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર ચારે તાલુકાના ખેડૂતો દ્વારા ઓછા, વધતા પ્રમાણમાં કરવામાં આવ્યું છે.

જ્યારે ઘઉંનું વાવેતર હજુ સુધી માત્ર દહેગામ અને ગાંધીનગર તાલુકામાં, બટાટા, ચણા, વરિયાળી અને તમાકુનું વાવેતર કલોલ સિવાય ત્રણે તાલુકામાં કરવામાં આવ્યું છે. બીજી બાજુ રવિ મોસમ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં ભૂતકાળમાં લેવામાં આવેલા પાક પૈકીના જુવાર, મકાઇ, શેરડી, જીરૃ, ધાણા, લસણ, સવા, ઇસબગુલ અને ડુંગળી જેવા પાકના વાવેતરની શરૃઆત કોઇપણ તાલુકામાં ખેડૂતો દ્વારા કરવામાં આવી નહીં હોવાનું પણ અંતિમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ત્યારે નવેમ્બર મહિનાના ચોથા સપ્તાહની શરૃઆત સુધીમાં જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની ૯૦,૦૧૨ હેક્ટર વિસ્તારમાં વાવેતરની સરેરાશ સામે અત્યાર સુધીમાં ૧૧,૬૭૭ હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે.