Gujarat

MSUમાં 750 જેટલા હંગામી અધ્યાપકોની ભરતીમાં વિલંબ થવાની શક્યતા

By GS TEAM
19 Mar 20261 min read
MSUમાં 750 જેટલા હંગામી અધ્યાપકોની ભરતીમાં વિલંબ થવાની શક્યતા

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વર્તમાન શૈક્ષણિક વર્ષ પૂરુ થવાના આરે છે.એપ્રિલ- મે મહિનામાં એન્ડ સેમેસ્ટર પરીક્ષાઓ લેવાશે.બીજી તરફ આગામી શૈક્ષણિક વર્ષ માટે હંગામી અધ્યાપકોની ભરતી માટે યુનિવર્સિટી સત્તાધીશોએ હજી જાહેરનામુ પણ બહાર પાડયું નથી.જેના કારણે હવે હંગામી અધ્યાપકોની ભરતીમાં વિલંબ થાય તેમ લાગી રહ્યું છે.

યુનિવર્સિટીમાં કાયમી અધ્યાપકોની ભરતીના અભાવે અને દર વર્ષે નિવૃત્ત થઈ રહેલા કાયમી અધ્યાપકોના કારણે નવા વર્ષ માટે ૭૫૦ જેટલા હંગામી અધ્યાપકોની ભરતી કરવી પડે તેવી શક્યતા છે.આ સંખ્યા નક્કી કરવા માટે વર્કલોડ કમિટિ બનાવવામાં આવતી હોય છે.આ કમિટિની પહેલી બેઠક જ હજી બે દિવસ પહેલા મળી છે. ફેકલ્ટી ડીનો દ્વારા હવે કમિટિને વર્કલોડ આપવામાં આવશે.યુનિવર્સિટી દ્વારા બાદમાં જાહેરનામુ બહાર પાડીને ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવશે.આ માટ ે એક મહિનાનો સમય આપવો પડશે.એ પછી ફેકલ્ટીઓમાં ઈન્ટરવ્યૂ શરુ થશે.આમ જૂન મહિના પહેલા હંગામી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા પૂરી થવાના સંજોગો દેખાતા નથી.માર્ચ મહિનાના અંતમાં કે તે પછી ગમે ત્યારે કોર્પોરેશનની ચૂંટણીનું જાહેરનામુ બહાર પડે અને આચાર સંહિતા લાગી જાય તેવી શક્યતાઓ છે એટલે સત્તાધીશો એવો પ્રયાસ કરી રહ્યા છે કે, આચાર સંહિતા પહેલા જાહેરનામુ બહાર પાડી દેવામાં આવે.