Gujarat

વડોદરા શહેરમાં જુન મહિના દરમિયાન વસ્તી ગણતરી થશે

By GS TEAM
18 May 20261 min read
વડોદરા શહેરમાં જુન મહિના દરમિયાન વસ્તી ગણતરી થશે

વડોદરા શહેરમાં ૧૪ વર્ષ બાદ વસ્તી ગણતરી થવા જઈ રહી છે. આ માટે સ્વગણતરીની પ્રક્રિયાની ગઈકાલથી શરુઆત થઈ છે, જ્યારે જુન મહિનામાં ડોર ટુ ડોર સર્વે કરી ડેટા એકત્ર કરાશે.

વડોદરાની વસ્તી વર્ષ ૨૦૧૧માં ૧૬,૭૦, ૮૦૬ નોંધાઈ હતી. ત્યારબાદ વુડાના ૧૨ ગામોનો પણ શહેરમાં સમાવેશ થયો છે.હાલ શહેરની વસ્તી અંદાજે ૨૨,૪૪,૩૩૦ છે. ભારત દેશની વસ્તી ગણતરી-૨૦૨૭ સંદર્ભે વડોદરા નોડલ ઓફિસર સહિતની ટીમને તબક્કાવાર ટ્રેનિંગ અપાઈ છે. આ કામગીરી માટે તાલીમ અધિકારી અને શિક્ષકોને ૩૮૦૦ નિમણૂંકપત્રો અપાયા છે.

વસ્તી ગણતરી માટે ૩૭૯૧ બ્લોકનુંવિસ્તરણ કરાયુંછે અને આ માટે ૪૮૩૬ સુપરવાઈઝરની નિમણૂંક કરાઈ છે. વસ્તી ગણતરી માટે ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે. પ્રથમ સ્તરે ૧૯ ચાર્જ (વોર્ડ) ઓફિસર અને બીજા સ્તરે ૭૧ ફિલ્ડ ટ્રેનર્સને તાલીમ અપાઈ છે, જ્યારે ત્રીજા સ્તરે હાલમાં ૪૮૩૬ ગણતરીદાર/સુપરવાઈઝરને તાલીમ આપવામાં આવી રહી છે.

સ્વગણતરીનો તબક્કો તા. ૧૭મેથી ૩૧મે સુધી નિર્ધારિત કરાયો છે, એટલે કે નાગરિકો પોતે ઓનલાઈન ડેટા સબમિટ કરશે. પ્રથમવાર વસ્તી ગણતરી ડિજિટલ (મોબાઈલ એપ્લિકેશન) આધારિત થઈ રહી છે. તા.૧ જુનથી ૩૦ જુન સુધી ઘેર-ઘેર જઈ સર્વેની કામગીરી હાથ ધરાશે. આ દરમિયાન નાગરિકોએ ડેટા શેર કરવાનો અથવા ઓટીપી આપવાની જરૂરિયાત રહેશે નહિ.