છોટા ઉદેપુર: કવાંટમાં આદર્શ આચાર સંહિતાના ધજાગરા, તંત્રની રહેમનજર હેઠળ રાજકીય બેનરો યથાવત્!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Model Code of Conduct in Kawant: છોટા ઉદેપુર જિલ્લામાં 32 જિલ્લા પંચાયત બેઠકો અને સાત તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર થતાની સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચના આદેશ મુજબ જિલ્લા કલેક્ટરે કડક અમલવારી માટે સૂચનાઓ આપી હોવા છતાં, કવાંટ તાલુકામાં અધિકારીઓની ઉદાસીનતાને કારણે આચાર સંહિતા માત્ર કાગળ પર જ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
અધિકારીઓની નિષ્ફળતા કે મિલીભગત?
મળતી માહિતી અનુસાર, ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ બનાવવા માટે જિલ્લા કલેક્ટરે દરેક તાલુકા મથકે નોડલ અધિકારીઓની નિમણૂક કરી છે. આ અધિકારીઓની મુખ્ય જવાબદારી જાહેર સ્થળો પરથી રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ, બેનરો અને ચિન્હો દૂર કરવાની હોય છે. તેમ છતાં, કવાંટ તાલુકાના મુખ્ય વિસ્તારો અને ગ્રામ પંચાયતની આસપાસ હજુ પણ રાજકીય પાર્ટીઓના બેનરો અને દિવાલો પર ચિતરાયેલા ચિન્હો જૈસે-થે સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.
કચેરી છોડવા તૈયાર નથી અધિકારીઓ
સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે તાલુકા મથકના અધિકારીઓ પોતાની એસી કેબિનોમાંથી બહાર નીકળવાની તસ્દી લેતા નથી, જેના કારણે કવાંટના જાહેર માર્ગો પર આચાર સંહિતાનો ભંગ થતો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અધિકારીઓની આ નિષ્ક્રિયતાને કારણે વહીવટી તંત્રની કામગીરી નિષ્પક્ષ છે કે કેમ તે સામે પણ આંગળીઓ ચિંધાઈ રહી છે.
કાગળ પર જ થઈ રહી છે કામગીરી?
સૂત્રોના જણાવ્યાનુસાર, રેકોર્ડ પર બેનરો દૂર કર્યા હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં કવાંટની ગલીઓમાં હજુ પણ રાજકીય પ્રચારના સાધનો ખડકાયેલા છે. આ બાબત સાબિત કરે છે કે જિલ્લા કલેક્ટરની કડક સૂચનાઓનું પાલન કરવામાં તાલુકા કક્ષાના અધિકારીઓ સાવ નિષ્ફળ રહ્યા છે અથવા તો જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યા છે.
હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ જિલ્લા ચૂંટણી તંત્ર કવાંટના જવાબદાર અધિકારીઓ સામે કેવા પગલાં ભરે છે અને ક્યારે આ રાજકીય પ્રચારના બેનરો દૂર કરવામાં આવે છે.








