Gujarat

ગાંધીનગરમાં વેકેશન દરમિયાન બંધ રહેતા મકાનો ઉપર પોલીસની વોચ રહેશે

By GS TEAM
19 Nov 20252 mins read
ગાંધીનગરમાં વેકેશન દરમિયાન બંધ રહેતા મકાનો ઉપર પોલીસની વોચ રહેશે

દિવાળી પર્વમાં ઘરફોડ ચોરી અટકાવવા પોલીસનો એક્શન પ્લાન

વસાહતીઓને પણ લાંબા સમય સુધી બંધ રહેતા મકાનો અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તાકીદ

ગાંધીનગરગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી દિવાળી પર્વ દરમિયાન ચોરીઓના બનાવો વધતા હોય છે ત્યારે પોલીસે આ વખતે બંધ મકાનો ઉપર ખાસ નજર રાખવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને નાગરિકોને પણ બંધ મકાન અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. એટલું જ નહીં સોસાયટીમાં અજાણ્યા વ્યક્તિઓને પ્રવેશ નહીં આપવા પણ સૂચના આપવામાં આવી છે.

દિવાળી પર્વની શરૃઆત થઈ ગઈ છે ત્યારે આ વખતે ગાંધીનગરમાં અત્યાર સુધીનું સૌથી મોટું આઠ દિવસનું સરકારી વેકેશન છે. જેના કારણે મોટાભાગના સરકારી કર્મચારીઓ તેમના મકાન બંધ કરીને વતનમાં અથવા તો ફરવા જવા માટે નીકળી જતા હોય છે. આ સ્થિતિમાં ગાંધીનગર શહેરમાં આ દિવાળી પર્વ દરમિયાન ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત બંધ રહેતા મકાનો ઉપર પોલીસ નજર રાખશે. જે સંદર્ભે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમસેટ્ટીની સુચના મુજબ શહેર અને જિલ્લામાં ચોરીના બનાવો અટકાવવા માટે સુચનો ધ્યાનમાં લેવા માટે જણાવવામાં આવ્યુ છે. જેમાં સોસાયટીમાં ચોકીદાર રાખવામાં આવતા હોય છે, ત્યારે સોસાયટીના કર્તાહર્તાએ ચોકીદારને ઓળખ કરી રાખવા જોઇએ, જ્યારે તેમના આધાર પુરાવા તેમની પાસે હોવા જોઇએ. ઘરકામ કરનાર ઘરઘાટી દ્વારા જ ઘરમાં ખાતર પાડવામાં આવ્યુ હોવાના બનાવ સામે આવ્યા છે, ત્યારે ઘરઘાટીના આધાર પુરાવા પણ રાખવા જરૃરી છે.

સોસાયટીમાં અજાણ્યા લોક અથવા સોસાયટીમાં મોઢા બાંધીને આવતા લોકોને દરવાજા ઉપર જ અટકાવવા જોઇએ. દિવાળીના તહેવારમાં પરિવાર સાથે બહાર ફરવા જતા સમયે બંધ મકાન ચોરોનુ નિશાન બને છે. ત્યારે લાંબા સમય સુધી ઘર બંધ કરીને ફરવા જાઓ તો, આસપાસમાં અને પડોશી ઉપરાંત સોસાયટીના ચેરમેન, મેનેજર તથા નજીકના પોલીસ મથક અથવા પોલીસ કંટ્રોલ રૃમ નંબર ૯૯૭૮૪૦૫૯૬૮ ઉપર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. પોતાના બંધ મકાનમાં કિંમતી દરદાગીના કે રોકડ રાખવી જોઇએ નહિ, તેને સુરક્ષિત જગ્યાએ અથવા લોકરમાં મુકવી જોઇએ.