Gujarat

સજ્જુ કોઠારીને ગુજસીટોકના ગુનામાં મળેલા જામીન રદ કરવા પોલીસની અરજી

By GS Team
24 Jan 20222 mins read
This article was originally published on 24 Jan 2022
સજ્જુ કોઠારીને ગુજસીટોકના ગુનામાં મળેલા જામીન રદ કરવા પોલીસની અરજી

સુરત

કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી સુરતમાં પગ ન મુકવાની શરત છતા બિન્દાસ્ત રીતે સુરતના ઘરે આવ-જા કરી ગુનાઇત પ્રવૃત્તિ કરે છે

ગુજસીટોકના ગુનામાં જામીન મુકત થયા બાદ પણ પોતાની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી આતંક મચાવનાર કુખ્યાત સજ્જુ કોઠારીને ક્રાઇમ બ્રાંચની ટીમે નાગપુરથી ઝડપી પાડી સુરત લઇ આવી છે. બીજી તરફ ગુજસીટોકના ગુનામાં સુરતમાં પગ નહીં મુકવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા અને આ શરતનો ભંગ કર્યો હોવાથી તેના જામીન રદ્દ કરવા માટે પોલીસે કોર્ટમાં અરજી કરી છે.

નાનપુરા જમરૃખ ગલીમાં રહેતા માથાભારે સજ્જુ કોઠારી વિરૃધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. તેમ છતા પણ તેણે પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવાનું ચાલુ રાખ્યું હતું. પાંચ દિવસ અગાઉ રાંદેર ન્યુ ગોરાટ રોડની જમીન મુદ્દે જમીન દલાલ ઇમ્તિયાઝ ઇક્બાલ બચાવને પોતાના રહેણાંક ખાતેની ઓફિસમાં બોલાવી બે-ત્રણ ફેંટ મારી, તેના માણસોને કહ્યું હતું કે સામાન નિકાલો, હું તને અહીં જ મારી નાખીશ, તારાથી થાય તે કરી લેજે, અડતાળીસ કલાકમાં તને પુરો કરી નાખીશ, હું વોન્ટેડ છું તો પણ તારી સામે બેઠો છું, હવેથી તું એકલો ફરતો નહીં, તારે જીવવું હોય તો આઠ માણ સાથે લઇને ફરજે એવી ધમકી આપી હતી. આ ઉપરાંત એક મહિના અગાઉ અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતા જમીન દલાલ સોહેલ અહમદ મનસુરને પણ ૨.૫૦ કરોડની લેતીદેતીમાં ઓફિસમાં બોલાવી અને ઘરમાં ઘૂસી માર માર્યો હતો. ઉપરાંત ફોન પર તેરા ફેસલા કર દુંગા, પહેલે મારા થા વો ભુલ ગયા, નહીં તો વાપસ યાદ કરવાના પડેગા એમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ગુનામાં ક્રાઇમ બ્રાંચે સજ્જુ કોઠારીને નાગપુરની હોટલમાંથી ઝડપી પાડી સુરત લઇ આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજસીટોકના ગુનામાં સજ્જુને જામીન આપવામાં આવ્યા ત્યારે જયાં સુધી કેસનો નિકાલ નહીં થાય ત્યાં સુધી સુરતમાં પગ મુકવો નહીં તે શરતે જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ બેખૌફ સજ્જુ બિન્દાસ્ત તેના ઘરે આવ-જા કરી રહ્યો છે. જેથી સુરત ક્રાઈમબ્રાંચે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા મારફતે આરોપી સજ્જુ કોઠારીએ પર્સનલ લીબર્ટીનો દુરુપયોગ કર્યો હોઈ જામીન રદ કરવા માંગ કરી છે.જેથી સરકારપક્ષની બેલ કેન્સલેશનની અરજીની સુનાવણી કોર્ટે આગામી તા.28મી જાન્યુઆરીના સુધી મુલત્વી રાખી છે.