ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામે એક પરણિત યુવતીના આત્મહત્યાના પ્રકરણમાં પોલીસે પતિ, સાસુ અને સસરા સામે ત્રાસ અંગે ગુનો નોંધ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના નાના વાગુદડ ગામે રહેતી એક પરણીતાએ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે મામલાની તપાસના અંતે ધ્રોલ પોલીસે મૃતક યુવતિને ત્રાસ આપી મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પતિ, સાસુ અને સસરા સામે ગુન્હો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ પડધરી નજીક થોડીયારી ગામમાં રહેતા મગનભાઈ બચુભાઈ ડાભી નામના 45 વર્ષના કોળી યુવાનની પુત્રી મધુબેન કે જેના લગ્ન આજથી ત્રણ વર્ષ પહેલા ધ્રોળ તાલુકાના વાગુદડ ગામમાં રહેતા અશોક કાનાભાઈ વાઘેલા સાથે થયા હતા, જે લગ્નના એક વર્ષના સમયગાળા બાદ મધુબેન ને પતિ તેમજ સાસુ સસરા દ્વારા અવારનવાર ત્રાસ ગુજારવામાં આવતો હતો, અને ત્રણથી ચાર વખત તેણીને ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હતી. પરંતુ પાછળથી સમાધાન કરીને પરત તેડી જતા હતા.
દરમિયાન ગત 21મી નવેમ્બરના રોજ પોતાના સાસરિયાઓના ત્રાસથી કંટાળી જઇ મધુબેને ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવની જાણ થવાથી પડધરીમાં રહેતા મૃતક ના પિતા મગનભાઈ વગેરે પણ ધ્રોલ દોડી આવ્યા હતા. આ બનાવ મામલે સૌપ્રથમ ધ્રોલ પોલીસે મધુબેનના મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. કરાવ્યું હતું, અને મૃતદેહને તેના પિતાને બોલાવીને સુપ્રત કરી દીધો હતો.
આ પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન પતિ સાસુ અને સસરાના ત્રાસના કારણે આ બનાવ બન્યો હોવાનું પિતા મગનભાઈ ડાભી દ્વારા જાહેર કરાયું છે. જેમની ફરિયાદના આધારે ધ્રોલ પોલીસે મધુબેનના પતિ અશોક કાનાભાઈ વાઘેલા, સસરા કાનાભાઈ હીરાભાઈ વાઘેલા, અને સાસુ મંજુબેન કાનાભાઈ વાઘેલા સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 108, 85 અને 54 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.








