જૂનાગઢ પોલીસના એમટી વિભાગના ડ્રાયવરનું કારસ્તાન
દૈનિકપત્રમાં સમાચારો વાંચી ગીરગઢડાના દુષ્કર્મના ગુનાના આરોપીનો સંપર્ક કરી નીલ રિપોર્ટ કરાવી દેવા લાલચ આપી હતી
ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં સીઆરપીએફના હવાલદારના ભાઈ સામે ગત સપ્ટેમ્બર માસમાં એસસી એસટી તથા દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. આ અંગેના સમાચારો વાંચીને પોલીસના મોટરવ્હીકલ વિભાગમાં ફરજ બજાવતા સંદિપ રામભાઈ રાવલીયા (ઉ.વ.૩૯, રહે.સુદામા પાર્ક, મધુરમ, જૂનાગઢ)એ યેનકેન પ્રકારે આરોપીના પરિવારજનોનો સંપર્ક કરી તેના વિવિધ નમૂનાઓ તપાસ અર્થે જૂનાગઢ એફએસએલમાં આવ્યા હોવાનું અને તેમાં તેનો નીલ રિપોર્ટ કરાવી દેવાનું કહી સાડા ત્રણ લાખ રૃપિયાની લાંચ માંગી હતી. દુષ્કર્મના આરોપીના પરિવારજનોએ રકઝકના અંતે બે લાખ રૃપિયામાં રિપોર્ટ નીલ કરાવી દેવાનું નક્કી કર્યું હતું. જો કે, તેઓ લાંચ આપવા માંગતા ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કરી લાંચ માંગનાર સંદિપ રાવલીયાને એસીબીના હાથે મધુરમ વિસ્તારમાંથી પકડાવી દીધો છે. જૂનાગઢ એસીબીના પીઆઈ જે.બી. કરમુર સહિતની ટીમે સંદિપને બે લાખની લીધેલી લાંચ સાથે રંગેહાથ ઝડપી પાડયો છે. આ ગુનામાં એફએસએલના કોઈ અધિકારીઓની સંડોવણી નથી પણ તેના નામે લાંચની માંગણી કરી પૈસાદાર બનવાનો કિમીયો હતો.
- એફએસએલની કાર્યપધ્ધતિથી વાકેફ થઈ ગયો હતો
સંદિપ પોતે છેલ્લા પાંચેક વર્ષથી પોલીસના એમટી વિભાગમાં આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. એફએસએલને ડ્રાઈવરની ઘટ હોવાથી એમટી વિભાગ પાસે ડ્રાઈવરની માંગણી કરી હતી ત્યારે એમટી વિભાગે એકાદ માસ પુરતો સંદિપને એફએસએલમાં મોકલ્યો હતો. જેથી સંદિપ એફએસએલની કાર્યપધ્ધતિથી વાકેફ થઈ ગયો હતો.
રિપોર્ટ નીલ આવશે તેવી આશાએ કીમિયો અપનાવ્યો હતો
એસીબીની તપાસ દરમ્યાન સંદિપે પોપટ બની સ્વીકાર્યું હતું કે, તેને હાલમાં એફએસએલના કોઈ અધિકારીનું નામ પણ આવડતું નથી. તેણે પૈસાદાર થવા માટે આ કિમીયો અપનાવ્યો હતો. એફએસએલમાં નમૂના મોડા મોકલવામાં આવ્યા હોય અથવા રિપોર્ટ કરવામાં મોડું થાય તો મોટાભાગે રિપોર્ટ નીલ આવતો હોવાનું જાણતો હોવાથી આ કિમીયો અપનાવ્યો હતો. તેને એવી આશા હતી કે રિપોર્ટ નીલ આવશે એટલે આ તેણે કરાવી દીધુ તેવું ગણાશે અને જો રિપોર્ટ પોઝિટિવ આવે તો હવે પૈસા નથી તેવું બહાનું બતાવી દેવાનું નક્કી કર્યું હતું.


