ગુજરાત પોલીસમાં ધરખમ ફેરફારની તૈયારી, નવી રેન્જ અને નવા કમિશનરેટ જાહેર કરશે સરકાર
Gujarat Police News : રાજ્યમાં 10 જેટલા સિનિયર અધિકારીઓને 'વેઇટિંગ ફોર પોસ્ટિંગ' કરી દેવામાં આવતા અને તેમના પોસ્ટિંગ અર્થે સરકાર દ્વારા કોઈ હિલચાલ કરવામાં ન આવતા હવે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે. રાજ્યમાં જિલ્લાઓના ઝડપી સંકલન માટે નવી રેન્જ અને નવા કમિશનર વિસ્તારની સરકાર જાહેરાત કરશે. હાલ રાજ્યમાં નવ (9) મુખ્ય પોલીસ રેન્જ કાર્યરત છે જેમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, દાહોદ-પંચમહાલ અને બોર્ડર રેન્જ. દરેક રેન્જમાં અનેક જિલ્લાઓ આવરી લેવામાં આવે છે અને તે રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) અથવા ઇન્સ્પેક્ટર જનરલ (IG) દ્વારા સંચાલિત થાય છે.
ગુજરાત સરકાર દ્વારા 18 મી ઓગસ્ટના રોજ 105 જેટલા IPS - પોલીસ અધિકારીઓના બદલીના આદેશો કર્યા હતા. ત્યારબાદ અન્ય એક આદેશમાં 10 DIGP કક્ષાના અધિકારીઓ માટે આદેશ કરવામાં આવ્યા. જેમાં આ અધિકારીઓને તેમની નિમણૂકની જગ્યાએથી હટાવી તેમને 'વેઇટિંગ ફોર પોસ્ટિંગ' કરી દીધા. 31મી ઓગસ્ટ અને મહિનો પૂરો થયો હોવા છતાં સરકાર દ્વારા કોઈ આદેશ કરવામાં આવ્યા નથી.
મળતી માહિતી મુજબ 'વેઇટિંગ ફોર પોસ્ટિંગ' અધિકારીઓને ગુજરાત પોલીસ ભવન ગાંધીનગર ખાતે રોજ એક રજીસ્ટરમાં સહી કરીને હાજરી પુરાવવાની હોય છે અને તેમના આ સમયગાળા દરમિયાન કોઈ સરકારી બંગલા કે ગાડીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા અઠવાડિયે 10 જેટલા 2011ની બેચના IPS અધિકારીઓને વેટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. હવે રાજ્યમાં નવી પોલીસ રેન્જ બનાવવાની તૈયારી સામે આવી છે, જેમાં ગાંધીનગર વિસ્તારને કમિશનર વિસ્તારમાં તથા બનાસકાંઠા કે પાટણ વિસ્તારને નવી રેન્જ તરીકે જાહેર કરવાની શક્યતા છે.
બનાસકાંઠાના પાલનપુર અને ભુજ રેન્જ વચ્ચે મોટો અંતર હોવાથી અધિકારીઓને વહીવટી મુશ્કેલી થઈ રહી છે, તેથી આ વિસ્તારને અલગ રેન્જમાં વિભાજિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
હાલ નાના જિલ્લાઓમાં નવો IPS અને SPS કક્ષાના અધિકારીઓ SP તરીકે ફરજ બજાવે છે, પરંતુ પ્રમાણમાં જે સિનિયર અધિકારીઓ લાંબા સમયથી એક જ પદ પર છે. તેમને બદલવાની જગ્યા ન હોવાને કારણે ઘણી જગ્યાઓએ એક્સકેડર અને કેડર રૂપે આ સ્થિતિ ઉભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાત સરકાર નવી રેન્જ સ્થાપિત કરવાની યોજનામાં છે, જેથી અધિકારીઓના પોસ્ટિંગમાં અને વહીવતની દ્રષ્ટિએ પણ સરળતા પડે.
આ ઉપરાંત ગુજરાત કેડરના 20 જેટલા IPS અધિકારીઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર છે. જેમાંથી 5 જેટલા અધિકારીઓનો ડેપ્યુટેશનનો સમયગાળો નિયમ મુજબ પૂર્ણ થઈ રહ્યો છે. જેથી આ અધિકારીઓમાંથી 3 જેટલા અધિકારીઓ સંભવત હોમ કેડરમાં પરત બોલાવ્યા બાદ સરકાર નવા ઓર્ડર કરે. IPS અધિકારીઓને રાજ્યમાંથી કેન્દ્રમાં મોકલવા માટે સરકાર દ્વારા નિયમો નક્કી કરાયા છે.
1954ના IPS કેડર નિયમોના નિયમ 6 મુજબ અધિકારીઓને કેન્દ્ર સરકાર, અન્ય રાજ્ય કે આંતરરાષ્ટ્રીય સંસ્થામાં ડેપ્યુટેશન પર મોકલી શકાય છે. સામાન્ય રીતે આ ડેપ્યુટેશન 5 વર્ષ સુધી ચાલે છે. કેન્દ્ર માટે દરેક રાજ્યના IPS કેડરમાંથી કેટલા અધિકારીઓ મોકલવા તે માટે ક્વોટા નક્કી કરાયો છે, જે કુલ IPS શક્તિના 40% સુધી મર્યાદિત છે. આ નિયમોનો ઉદ્દેશ છે કે રાજ્ય અને કેન્દ્ર બંનેને અનુભવી અધિકારીઓની સેવા મળી રહે.