વડોદરા દુષ્કર્મ કેસ: OASIS સંસ્થાના ટ્રસ્ટી સંજીવ શાહ, પ્રીતિ નાયર અને વૈષ્ણવી સામે પોલીસ ફરિયાદ

વડોદરા, તા. 06 ડિસેમ્બર 2021 સોમવાર
વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ ખાતે ના બહુચર્ચિત ગેંગરેપ કેસમાં ભારે ઊહાપોહ સર્જાયા બાદ આપઘાત કરનાર પીડિતાને મદદરૂપ થવાને બદલે દુષ્કર્મ બાબતે માહિતી છુપાવનાર ઓએસિસ સંસ્થાના સંચાલક સહિત ત્રણ સામે ગુનો નોંધાયો છે.
વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં આપઘાત કરી લેનાર યુવતીની ડાયરી પરથી તેના પર વડોદરામાં વેક્સિન ગ્રાઉન્ડ ખાતે દિવાળી પહેલા ગેંગરેપ થયો હોવાની વિગતો બહાર આવી હતી.વડોદરા માં ઓએસિસ સંસ્થામાં અભ્યાસ કરતી નવસારીની યુવતી ના બનાવ અંગે રેલવે પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા તેમજ કથિત ગેંગરેપનો ગૂનો નોંધ્યો હતો.
બીજી તરફ યુવતી તેમજ વેક્સિન ગ્રાઉન્ડ ખાતે તેને મદદરૂપ થયેલા બસ ડ્રાઈવરે સમગ્ર બનાવ અંગે ઓએસિસ સંસ્થામાં પીડિતાની સાથે ભણતી વૈષ્ણવી નામની યુવતીને કરી હોવાની વિગતો બહાર આવી હતી. વૈષ્ણવી એ આ બનાવની જાણ સંસ્થા ની મુખ્ય સંચાલિકા પ્રિતી નાયર તેમજ તેના પતિ સંજીવ શાહને કરી હતી.
ઓએસિસ સંસ્થાના ઉપરોક્ત ત્રણેય જણાએ બનાવની જાણ સમયસર પોલીસને કરી હોત અથવા તો પીડિતાના માતા-પિતાને કરી હોત તો તેનો જીવ બચી શકે તેવી શક્યતા હતી. પરંતુ તેમણે આ બનાવની જાણ નહીં કરી ગંભીર બેદરકારી રાખી હતી. આ ઉપરાંત તેમણે સહયોગ કર્યો હોત તો આરોપી પણ પકડાઈ જાય તેવી શક્યતા હતી. પરંતુ તેમણે શરૂઆતમાં પણ કોઈ સહયોગ કર્યો ન હતો.
ઓએસિસ સંસ્થા સામે પીડિતાના માતા-પિતા ઉપરાંત પશ્ચિમ વિભાગ હિત રક્ષક સમિતિ સહિતના લોકોએ ગંભીર આક્ષેપો કરતા વડોદરા શહેર પોલીસ કમિશનરે સંસ્થા સામેની તપાસ ક્રાઇમ બ્રાંચના એસીપી ડી એસ ચૌહાણ ને સોંપી હતી. તપાસના અંતે ક્રાઈમ બ્રાન્ચે ઓએસિસ સંસ્થાના સંચાલક દંપતી તેમજ પીડિતાની બહેનપણી સામે બેદરકારી સેવવા બદલ ગુનો નોંધ્યો છે.




