બિહારના જંગલ વિસ્તારમાં પગપાળા 4 કિ.મી. ચાલી અને
ગીર સોમનાથ એલસીબીની ટીમ બાતમીના આધારે તામીલનાડુ પહોંચી, ત્યાંથી બિહાર તરફ આરોપી ગયો હોવાનું ખૂલતાં કાર્યવાહી
પ્રભાસપાટણ : સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના અપહરણ તથા દૂષ્કર્મ કેસનો આરોપી ૧૫ વર્ષથી નાસતો ફરતો હતો. તેની ઉપર ૧૦ હજારનું ઇનામ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરાયું હતું. ગીર સોમનાથ એલસીબીની ટીમે બિહારના સાહેબ ગંજ વિસ્તારમાં જંગલ વિસ્તારમાં ૪ કિ.મી. પગપાળા ચાલી, જાનૈયાનો સ્વાગં રચી દિવસભર રેકી કરી અંતે દૂષ્કર્મના આરોપીને દબોચી લીધો હતો.
ટેકનિકલ એનાલીસીસ આધારે સુત્રાપાડા પોલીસ સ્ટેશનના અપહરણ, દૂષ્કર્મના ગુનાનો છેલ્લા ૧૫ વર્ષથી નાસતો ફરતો આરોપી તાલીમનાડુ હોવાનું જણાતાં ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના ઇન્સપેક્ટર એસ.વી. રાજપુતની રાહબરી હેઠળ ટીમો તામીલનાડુ ખાતે જવા રવાના થઈ હતી પરંતુ ત્યાંથી આ આરોપી બિહાર તરફ રવાના થયાની જાણ થતા મુંબઇ ખાતે પહોંચેલી ટીમને બિહાર ખાતે તાત્કાલિક જવાના રવાના કરવામાં આવી હતી.
એલ.સી.બી. ટીમ બિહાર રાજ્ય ખાતે આરોપીના વતન પહોંચતા ત્યાં હાલ લગ્નની સીઝન ચાલું હોવાથી દેશભરમાંથી બિહારના વતની મજુરો મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગ નિમિત્તે રજામાં આવેલા હતા, જેથી આરોપીના રહેણાંક વિસ્તારની માહિતી મેળવતા આ વિસ્તાર સાહેબગંજ શહેર વિસ્તારથી ૪ કિ.મી. દૂર અને જંગલ વિસ્તારમાં હોવાનું માલૂમ પડયું હતું. આથી, પગપાળા ૪ કિ.મી. ચાલી આ જંગલ વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી આજુબાજુ ચાલતા લગ્નના માહોલમાં અલગ અલગ વિસ્તારમાં એલ.સી.બી. ટીમના માણસો પોતાની ઓળખ છૂપાવી લગ્નમાં આવેલ મહેમાન તરીકે ફેલાઈ ગયા હતા અને દિવસભર રેકી કરી હયુમન સોર્સીસ ઉભા કરી આરોપી, તેના સગા વહાલા તથા તેના રહેણાંક બાબતે બાતમી મેળવી રાત્રીના સમયે સ્થાનિક પોલીસની મદદ મેળવી આ આરોપીને વિનયકુમાર સોહન મહતોને મુઝફફરપુર જિલ્લાના તેનાં રહેણાંક મકાનેથી પકડી પાડયો હતો.


