Gujarat

સંત સરોવરમાં માછીમારી કરનાર બે શખ્સ વિરૃધ્ધ પોલીસ કાર્યવાહી

By GS TEAM
18 Jul 20252 mins read

જાહેરનામાનો ભંગ કરીને નદીમાં ઉતરી

જોખમી ૧૭ જેટલા જળાશયોમાં નાગરિકોને નહીં ઉતરવા તંત્રની અપીલઃપોલીસને પણ જાહેરનામાનું કડક પાલન કરાવવા સુચન

ગાંધીનગર :  ચોમાસાની તુમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાંથી પસાર થતી નદીઓ, કેનાલો અને તળાવો સહિતના જળાશયોમાં પ્રવેશ પર વહિવટી તંત્ર  દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે પોલીસને ૧૭ જેટલા સંવેદનશીલ પોઈન્ટ પર બંદોબસ્ત ગોઠવવાની સૂચના આપવામાં આવી છે, જેના પગલે આ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આ કડક પગલાં છતાં, કેટલાક લોકો જીવના જોખમે જળાશયોમાં પ્રવેશી નિયમોનો ભંગ કરી રહ્યા છે, જેમના પર પોલીસ સકંજો કસી રહી છે.

તાજેતરમાં સંત સરોવર સંપૂર્ણ ભરાઈ ગયું છે અને તેના દરવાજા ખોલીને તબક્કાવાર પાણી ધોળેશ્વર અને ભાટ તરફ છોડવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં, પાણીમાં તણાઈને આવતી માછલીઓ પકડવાના લોભમાં કેટલાક માછીમારો જીવના જોખમે અહીં ઝાળ બિછાવીને બેઠા હોવાનું સામે આવ્યું છે. આવા જ એક કિસ્સામાં, રાજુભાઈ મસુરભાઈ દંતાણી અને તેમના ભાઈ કમલેશભાઈ દંતાણીની પોલીસે જાહેરનામા ભંગ કરવા બદલ ધરપકડ કરી છે. આ બંને ભાઈઓએ જાહેરનામાનો ભંગ કરીને જળાશયમાં પ્રવેશ કર્યો હતો. પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના બાદ, ગાંધીનગરના નાગરિકોને જળાશયોની નજીક ન જવા અને કલેક્ટરના જાહેરનામાનું પાલન કરવા માટે વિનંતી કરવામાં આવી છે. તદુપરાંત, પર્વ અને વ્રતના દિવસો દરમિયાન પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારીને જાહેરનામાનું પાલન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે.