Get The App

PMના ખાસ- જનસંઘી પરિવારની ઉપેક્ષા, આયાતીનાં પત્નીને પ્રમુખપદ

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
PMના ખાસ- જનસંઘી પરિવારની ઉપેક્ષા, આયાતીનાં પત્નીને પ્રમુખપદ 1 - image

જૂનાગઢ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની જાહેરાત કરાઈ : પંડિત દીનદયાળ ઉપાધ્યાયની વિચારધારા નહિ, પણ અમુક કહેવાતા વહીવટદારોની જોહુકમી ચાલતી હોવાનો ભાજપમાં જ ગણગણાટ 

જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની ભાજપ હાઇકમાન્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવતાની સાથે જ પક્ષમાં અંદરખાને નારાજગીનો સૂર ઉઠયો છે. વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો વહાવનારા જૂના જનસંઘી નેતાઓને કાપીને થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી આવેલા આયાતી નેતાના પત્નીને સર્વોચ્ચ પદ સોંપાતા ભાજપના જ વરિષ્ઠ આગેવાનોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમના અવારનવાર ખબર-અંતર પૂછતા હતા તેવા જૂના જનસંઘી નેતા પૂર્વ ધારાસભ્ય સ્વ.રત્નાબાપા ઠુમરના પુત્રવધૂ ચંપાબેન કીશોરભાઈ ઠુંમર પ્રમુખપદના પ્રબળ દાવેદાર હતા. જો કે પક્ષે તેમની બાદબાકી કરીને વિસાવદરની સરસઈ બેઠક પરથી માત્ર ૫૩ મતે માંડ-માંડ ચૂંટાયેલા લીનાબેન કાવાણીને પ્રમુખ જાહેર કર્યા છે. લીનાબેનના પતિ વિપુલ કાવાણી અગાઉ કોંગ્રેસમાં હતા અને થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા. વિપુલ કાવાણી ગત ટર્મમાં જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ રહ્યા બાદ હવે તેમના પત્નીને પ્રમુખપદ અપાતા જૂના કાર્યકરોએ બળાપો ઠાલવતા જણાવ્યું છે કે હવે ભાજપમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની વિચારધારા નહિ પણ અમુક કહેવાતા વહીવટદારોની જોહુકમી ચાલી રહી છે. વિજયના ઉત્સાહ વચ્ચે જે રીતે વર્ષો જૂના વફાદારોને સાઇડલાઇન કરી કોંગ્રેસ પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓને મહત્વના હોદ્દા લહાણીમાં અપાયા છે તે આગામી દિવસોમાં જૂનાગઢ ભાજપ માટે શિરદર્દ સાબિત થાય તેવા સંકેતો મળી રહ્યા છે.