PM Modi in Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (15 નવેમ્બર) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં હાજરી આપ્યા બાદ તેઓ આજે રાજ્યના આદિવાસી પટ્ટાનો પ્રવાસ કરી રહ્યા છે.
પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદીએ 9,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 2003માં દેવમોગરા માતાના દર્શને આવ્યો હતો, આજે આ જગ્યાનો ખુબ વિકાસ થયો છે. મા નર્મદાની પાવન ધરતી આજે વધુ એક ઐતિહાસિક આયોજનની સાક્ષી બની છે. ગત 31 ઓક્ટોબરે સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અને 'ભારત પર્વ'ના પ્રારંભ બાદ આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના ભવ્ય આયોજન સાથે 'ભારત પર્વ'ની પૂર્ણતા થઈ છે.
આ પવિત્ર અવસરે ભગવાન બિરસા મુંડાને પ્રણામ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે '2021માં અમે ભગવાન બિરસા મુંડાની જયંતિને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી. જનજાતીય ગૌરવ હજારો વર્ષોથી આપણા ભારતની ચેતનાનો અભિન્ન હિસ્સો રહ્યો છે.'
સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી સમાજના યોગદાન પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું હતું કે, 'જ્યારે પણ દેશના સન્માન, સ્વાભિમાન અને સ્વરાજની વાત આવી, ત્યારે આપણો આદિવાસી સમાજ સૌથી આગળ ઊભો રહ્યો. સ્વતંત્રતા આંદોલનમાં આદિવાસી સમાજના યોગદાનને આપણે ભૂલાવી શકીએ નહીં.'
આ કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસ અને જનજાતીય કલ્યાણ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્વાસ્થ્ય, માર્ગ અને પરિવહન સાથે જોડાયેલા નવા પ્રોજેક્ટ્સ પણ શરૂ થયા છે. આ તમામ વિકાસ કાર્યો અને કલ્યાણ યોજનાઓ બદલ ગુજરાત સહિત દેશના તમામ જનજાતીય પરિવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભારપૂર્વક જણાવવામાં આવ્યું કે, '2014 પહેલા ભગવાન બિરસા મુંડાને કોઈ યાદ કરનારું નહોતું. માત્ર તેમના અગલ-બગલના ગામ સુધી જ તેમને પૂજવામાં આવતા હતા. આજે દેશભરમાં અનેક ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યા છે.'
આજે શ્રી ગોવિંદ ગુરુ ચેર જનજાતીય ભાષા સંવર્ધન કેન્દ્રની સ્થાપના પણ થઈ છે. આ કેન્દ્રમાં ભીલ, ગામિત, વસાવા, ગરાસિયા, કોકણી, સંથાલ, રાઠવા, નાયક, ડબલા, ચૌધરી, કોકના, કુંભી, વરલી, ડોડિયા... જેવી તમામ જનજાતિઓની બોલીઓ પર અધ્યયન થશે. તેમની સાથે જોડાયેલી વાર્તાઓ અને ગીતોને સંરક્ષિત કરવામાં આવશે. વધુમાં ઉમેર્યું કે, જનજાતીય સમાજ પાસે હજારો વર્ષોના અનુભવોથી શીખેલા જ્ઞાનનો અપાર ભંડાર છે. તેમની જીવનશૈલીમાં વિજ્ઞાન છુપાયેલું છે.
કોંગ્રેસે આદિવાસીઓની ઉપેક્ષા કરી
આ અવસરને કરોડો આદિવાસી ભાઈ-બહેનો સાથે થયેલા અન્યાયને યાદ કરવાનો દિવસ ગણાવતા જણાવાયું કે, 'દેશમાં છ દાયકા સુધી રાજ કરનારી કોંગ્રેસે આદિવાસીઓને તેમના હાલ પર છોડી દીધા હતા. આદિવાસી કલ્યાણ ભાજપની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે.'
એક સંકલ્પ લેવા પર ભાર મૂકવામાં આવ્યો કે, "આપણે હંમેશા આ સંકલ્પ લઈને ચાલીએ કે આપણે આદિવાસીઓ સાથે થઈ રહેલા અન્યાયને સમાપ્ત કરીશું, તેમના સુધી વિકાસનો લાભ પહોંચાડીશું.'
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસની અપડેટ
વડાપ્રધાને સાગબારામાં દેવમોગરા માતાના કર્યા દર્શન
વડાપ્રધાન મોદી સુરતથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પહોંચી ગયા છે. અહીં પહોંચતા પહેલા તેમણે સાગબારામાં પૌરાણિક દેવમોગરા મંદિરમાં માતાની પૂજા કરી હતી અને ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોના આદિવાસી સમુદાયો દ્વારા દેવમોગરા પાંડોરી માતાની કુળદેવી તરીકે પૂજા કરવામાં આવે છે.

દેવમોગરા માતાના મંદિર વિશે જાણો આ વિગતો...
ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં, સાતપુડાની ગિરિમાળાઓની હરિયાળી ગોદમાં એક એવું પૌરાણિક ધામ આવેલું છે, જે કરોડો આદિજાતિ સમાજના લોકોની આસ્થા, શ્રદ્ધા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. એ છે યાહા મોગી માતા દેવમોગરા ધામ. કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન આ ધામનો મહિમા અનેરો છે અને તેનો ભવ્ય ઇતિહાસ દરેક ભક્તને અલૌકિક શાંતિનો અનુભવ કરાવે છે.
મંદિરનો પૌરાણિક ઇતિહાસ: 'કણી-કંસરી' માતાની અન્નપૂર્ણા ગાથા
દેવમોગરા ધામ ખાતે આદિજાતિ સમાજના કુળદેવી પાંડોરી માતા (યાહમોગી) સ્વયં બિરાજમાન છે. મંદિરનું બાહ્ય સ્વરૂપ નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર જેવું ભવ્ય દેખાય છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર, હજારો વર્ષો પૂર્વે જ્યારે આ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, ત્યારે સમગ્ર માનવજાત અને પશુ-પક્ષીઓ ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા. આવા સંકટના સમયે, પ્રજા પાલક ગોર્યા કોઠારએ અન્નનું વિતરણ શરૂ કર્યું. જોકે, સમય જતાં તેમના અન્ન ભંડાર પણ ખાલી થવા લાગ્યા.
સુરત એરપોર્ટ પર સ્વાગત અને બુલેટ ટ્રેનની સમીક્ષા
આજે સવારે વડાપ્રધાન મોદીનું સુરત એરપોર્ટ ખાતે આગમન થયું હતું, જ્યાં સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરતના આંત્રોલી ખાતે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત બાદ ડેડિયાપાડા પહોંચ્યા છે. અહીં 2 કિલોમીટર લાંબા રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. બિહારમાં NDAની જીત બાદ વડાપ્રધાનની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે.
નર્મદામાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી
સુરત ખાતેના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પહોંચ્યા છે. અહીં તેઓ 'આદિવાસી ગૌરવ દિવસ' અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થવાના છે. તેઓ પ્રથમ આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર દેવ મોગરા મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેઓ દેડિયાપાડા ખાતે એક જંગી સભાને સંબોધિત કરશે.
રૂ.9700 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ
દેડિયાપાડા ખાતે આયોજિત આ સભામાં વડાપ્રધાન મોદી રૂ.9700 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ લગભગ ચાર વાગ્યા બાદ વડાપ્રધાન સભા સ્થળેથી હેલિપેડ જવા રવાના થશે. ત્યાંથી તેઓ સુરત એરપોર્ટ પહોંચશે અને સાંજે 5:00 વાગ્યે સુરત એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે. આમ વડાપ્રધાનનો આ એક દિવસીય પ્રવાસ મુખ્યત્વે આદિવાસી વિસ્તાર પર કેન્દ્રિત રહેશે.
વડાપ્રધાન સવારે 7.45 દિલ્હીથી રવાના
સવારે 9.20 એ સુરત એરપોર્ટ પર આગમન
સુરત એરપોર્ટથી 9.20 એ સુરત હેલિપેડ ખાતે રવાના
સવારે 9.45 એ સુરત હેલિપેડ ખાતે આગમન
સવારે 9.50 એ સુરત હેલિપેડથી બાય રોડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખાતે રવાના
સવારે 9.55 એ બુલેટ ટ્રેન સ્ટેશન પર આગમન
10 થી 11.15 સુધી બુલેટ ટ્રેન સ્ટેશનની વિઝીટ
11.20 એ બુલેટ ટ્રેન સ્ટેશનથી બાય રોડ હેલિપેડ રવાના
11.25 સુરત હેલિપેડ
11.30 સુરત હેલિપેડથી દેવ મોગરા હેલિપેડ જવા રવાના
12.15 એ દેવ મોગરા હેલિપેડ આગમન
12.20 દેવ મોગરા હેલિપેડ થી બાય રોડ દેવમોગરા મંદિર રવાના
12.40 એ દેવ મોગરા મંદિર આગમન
12.45 થી 1 વાગ્યા સુધી દેવમોગરા મંદિરમાં પૂજા અર્ચના કરશે
1.05 વાગે દેવમોગરા મંદિરથી હેલિપેડ જવા રવાના
1.15 દેવમોગરા હેલિપેડથી દેડિયાપાડા જવા રવાના
1.35 એ દેડિયાપાડા હેલિપેડ ખાતે આગમન
1.40 એ દેડિયાપાડા હેલિપેડથી બાય રોડ સભા સ્થળ જવા રવાના
2.10 વાગે સભા સ્થળ પર આગમન
2.15 થી 4 વાગ્યા સુધી સભા સ્થળ પર 150મી બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી
4.05 વાગ્યાથી સભા સ્થળથી હેલિપેડ જવા રવાના
4.10 વાગે દેડિયાપાડા હેલિપેડ આગમન
4.15 વાગે દેડિયાપાડા હેલિપેડથી સુરત એરપોર્ટ જવા રવાના
5.00 વાગે સુરત એરપોર્ટ આગમન
5.05 થી સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના
6.40 એ દિલ્હી એરપોર્ટ આગમન
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર કરાયો છે. દિલ્હી જતા પહેલા સુરતમાં બિહારના વતનીઓને મળશે. સુરત એરપોર્ટ ખાતે સુરતમાં વસતા બિહારના લોકોનું અભિવાદન ઝીલશે. સાંજે 4 વાગ્યે સુરત એરપોર્ટ બહાર વડાપ્રધાન મોદીનું બિહારના લોકો સ્વાગત કરશે.


