બિહારના લોકોને રાજનીતિ સમજવી નથી પડતી, તેઓ દુનિયાને રાજનીતિ સમજાવે છે... સુરતમાં PM મોદી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi in Surat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (15 નવેમ્બર) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. આજે વડાપ્રધાન મોદી સુરતથી નર્મદા જિલ્લાના દેડિયાપાડા પહોંચ્યા હતા. આ અગાઉ તેમણે સાગબારામાં પૌરાણિક દેવમોગરા મંદિરમાં માતાની પૂજા કરી હતી અને ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સુરતથી દિલ્હી જતાં પહેલા સુરતમાં બિહારના વતનીઓને મળ્યા. સુરત ઍરપોર્ટ ખાતે સુરતમાં વસતા બિહારના લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સુરત ઍરપોર્ટ બહાર વડાપ્રધાન મોદીનું બિહારના લોકોએ સ્વાગત કર્યું હતું. જણાવી દઈએ કે, બિહાર વિધાનસભામાં NDAનો વિજય થયો છે.
બિહારનો ઐતિહાસિક વિજય થયો: PM મોદી
સુરત ઍરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઘમછાથી સ્વાગત કરાયું હતું. અહીં તેમણે સભા સંબોધતા કહ્યું હતું કે, 'બિહારનો ઐતિહાસિક વિજય થયો અને જો અમે સુરતથી આગળ જઈ રહ્યા હોઈએ અને બિહારના લોકોને મળ્યા વગર જઈએ તો તે પ્રવાસ અધૂરો લાગે છે. એટલા માટે ગુજરાતમાં રહેતા અને ખાસ કરીને સુરતમાં રહેતા મારા બિહારી ભાઈઓને હક બને છે, અને એટલા માટે મારી સ્વાભાવિક જવાબદારી પણ બને છે કે તમે લોકોની વચ્ચે આવીને આ વિજયોત્સવની કેટલીક પળોમાં હું પણ ભાગ લઉં.'
અમારો મૂળભૂત વિચાર રહ્યો છે- નેશન ફર્સ્ટ: PM મોદી
વડાપ્રધાને કહ્યું કે, 'તમે પણ જાણો છો અને બિહારના લોકો પણ જાણે છે કે અમે તે પાર્ટી છીએ જ્યારે તમે અમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ કામ આપ્યું હતું ત્યારે પણ અમારે એક મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અમારો મૂળભૂત વિચાર રહ્યો છે- નેશન ફર્સ્ટ. આ જ મંત્ર અમારા માટે હિન્દુસ્તાનના દરેક ખૂણા, હિન્દુસ્તાનના દરેક રાજ્ય, દરેક ભાષા-નાગરિક... આ અમારા માટે પૂજનીય છે, વંદનીય છે. એટલા માટે બિહારનું પણ ગૌરવ કરવું, બિહારના સામર્થ્યનો સ્વીકાર કરવો... આ અમારા માટે ખૂબ સહજ વાત છે. આ ચૂંટણીમાં NDA ગઠબંધને જે જીત મેળવી છે અને મહાગઠબંધન જે હાર્યું છે. બંને વચ્ચે 10 ટકા મતનો ફરક છે, આ ખૂબ મોટી વાત છે.'
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'બિહારના લોકોને રાજનીતિ સમજવી નથી પડતી. બિહારના લોકો દુનિયાને રાજનીતિ સમજાવે છે. બિહારે જાતિવાદી રાજનીતિને નકારી દીધી છે. બિહાર આજે દુનિયાભરમાં છવાયેલું છે. તમે દુનિયામાં ક્યાંય પણ જાઓ, બિહારનું ટેલેન્ટ તમને નજરે પડશે. હવે બિહાર વિકાસની નવી ઊંચાઈઓ મેળવવાનો મિજાજ બતાવી રહ્યું છે. આ ચૂંટણીમાં તે મિજાજના દર્શન થયા છે. મહિલા-યુવાનો એક એવો MY કોમ્બિનેશન બન્યું છે, જેણે આવનારા દાયકાઓની રાજનીતિનો પાયો મજબૂત કરી દીધો છે.
ગત 2 વર્ષથી આ જમાનતી નેતા બિહારમાં જઈને જાતિવાદ-જાતિવાદનું ભાષણ આપી રહ્યા હતા. જેની તાકાતથી તેમણે જાતિવાદનું ઝેર ફેલાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ બિહારે આ ચૂંટણી જાતિવાદના આ ઝેરને સંપૂર્ણ રીતે નકારી દીધું છે.
આ મુસ્લિમ લીગી માઓવાદી કોંગ્રેસને દેશ અસ્વીકાર કરી ચૂકી છે. કોંગ્રેસ પાર્ટીમાં જે રાષ્ટ્રીય વિચારોથી મોટા થયેલા લોકો છે, એવો કોંગ્રેસનો ખૂબ મોટો વર્ગ... નામદારની હરકતોથી દુઃખી છે. કોંગ્રેસને હવે કોઈ બચાવી ન શકે, એવી સ્થિતિ થઈ ગઈ છે.'









