Get The App

PM કિસાન સન્માનનિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં! હપ્તા મામલે કેન્દ્રનો કડક નિર્દેશ

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
PM Kisan Samman Nidhi Scheme

PM Kisan Samman Nidhi Scheme: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને હજુ 26મો હપ્તો ચૂકવાયો નથી જેથી ખેડૂતો ચિંતામાં મૂકાયાં છે. જોકે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ યોજનામાં ખેડૂતો ખોટા લાભાર્થી બની બેઠાં હોવાનુ માલુમ પડયુ છે જેના કારણે કેન્દ્ર સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યાં છેકે, જ્યાં સુધી અરજીની પૂર્તતા નહી ચકાસવામાં આવે ત્યાં સુધી હપ્તો ચૂકવાશે નહી. ઉલ્લેખનીય છેકે, કેન્દ્ર સરકારે અત્યાર સુધી 35.44 લાખ ખોટા લાભાર્થી ખેડૂતોના નામ કમી કર્યાં છે. આ જોતાં ગુજરાત સરકારે પણ ખોટા લાભાર્થીઓ પર નજર રાખી છે.

PM કિસાન યોજનામાં ગેરરીતિ: અનેક ખેડૂતો શંકાના દાયરામાં

કેન્દ્ર સરકારના ધ્યાને આવ્યું છે કે, ઘણાં ખેડૂતોએ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધીમાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યાં છે અને હપ્તો મેળવે છે. એવી ગેરરીતી જોવા મળી છેકે, પતિ, પત્નિ સહિત પરિવારના બધાય સભ્યો લાભાર્થી બની બેઠાં છે જેઓ નિયમ વિરુધ્ધ રૂ.2000નો હપ્તો મેળવી રહ્યાં છે. ટૂંકમાં, લાયકાત વિના ખેડૂતો ખોટા લાભાર્થી બન્યાં છે. આ કારણોસર કેન્દ્ર સરકારના આદેશને પગલે ખેડૂતોની અરજીઓની પૂર્તતા ચકાસવામાં આવી રહી છે. અરજી ચકાસણી પછી જ અરજદારને હપ્તો ચૂકવવા આદેશ કરાયો છે. 

2022-23ની તુલનામાં 2023-24માં 11.13લાખ ખેડૂત ઓછા

ગુજરાતમાં વર્ષ 2022-23માં 59.62 લાખ ખેડૂત લાભાર્થીઓને પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી યોજનામાં લાભ અપાયો હતો. જયારે વર્ષ 2023-24માં 48.49 લાખ ખેડૂતોને હપ્તો ચૂકવાયો હતો. આ બે વર્ષની સરખામણી કરતાં ખેડૂત લાભાર્થીઓની સંખ્યામાં 11.13 લાખનો તફાવત જોવા મળ્યો હતો. એવી વિગતો પણ જાણવા મળી છેકે, 63.13 લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તો ચૂકવાયો હતો જ્યારે 282 લાખ લાભાર્થીઓને 11મા હપ્તાની ચૂકવણી કરાઈ હતી. 

ખોટા લાભાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો: સરકારનું કડક પગલું

આ જોતાં 55 ટકા લાભાર્થીઓ ઓછા થયાં હતાં. આનો સીધો અર્થ એ છે કે, ખોટા લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો. સરકારના રિપોર્ટ મુજબ, વર્ષ 2024માં પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી યોજનામાંથી 2,62,050 ખોટા લાભાર્થી હોવાથી તેમના નામ કમી કરાયાં હતાં. હવે જ્યારે કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે જેના પગલે ગુજરાત જ નહીં, રાષ્ટ્રવ્યાપી અરજી ચકાસણી શરૂ કરાઈ છે. હવે આ વખતે ગુજરાતમાંથી કેટલાં ખોટા લાભાર્થીઓ મળી આવે તે જોવુ રહ્યું. 

આ પણ વાંચો: રાજકોટમાં કાળજું કંપાવતી ઘટના: માતાએ બે માસૂમ પુત્રીઓને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો

કૃષિ સહાય પેકેજનો લાભ મેળવવા ખેડૂતો આજથી અરજી કરી શકશે

કમોસમી વરસાદને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સરકારે રૂ.10 હજાર કરોડનું કૃષિ પેકેજ જાહેર કર્યુ હતુ. શુક્રવારથી ખેડૂતો અરજી કરી સહાય મેળવી શકશે. રાજ્યના 19,500 ગામોની ખેતીને નુકસાન પહોચ્યુ છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને સહાય મળવાપાત્ર છે. ખેડૂતોએ રાજ્ય સરકારના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે. ખેડૂતાને વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર મદદરુપ થશે. ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે.

PM કિસાન સન્માનનિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં! હપ્તા મામલે કેન્દ્રનો કડક નિર્દેશ 2 - image