Get The App

આણંદના ગોપી વિદ્યાનગર રોડ પર પ્લોટ ગેરકાયદે પચાવી પાડયો

Updated: Jun 19th, 2025

GS TEAM


Google News
Google News
આણંદના ગોપી વિદ્યાનગર રોડ પર પ્લોટ ગેરકાયદે પચાવી પાડયો 1 - image


- મહિલા સહિત બે શખ્સ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

- પ્લોટ ખાલી કરવાનું કહેતા બંનેએ ખોટા કેસમાં ફસાવી દેવાની જમીન માલિકને ધમકી આપી

આણંદ : આણંદ શહેરના ગોપી વિદ્યાનગર રોડ ઉપર મહિલા સહિતના બે વ્યક્તિઓએ પ્લોટ ઉપર ગેરકાયદે કબજો જમાવી દઈ પચાવી પાડયો હતો. પ્લોટ ખાલી કરવાનું કહેતા બંનેએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા આણંદ શહેર પોલીસ મથકે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આણંદના અક્ષર ફાર્મ રોડ ઉપર રહેતા બુધાભાઈ રાયસીંગભાઇ ગોહેલે ગોપી વિદ્યાનગર રોડ ઉપર અંબાલાલ મોહનલાલ ચાવડા તથા તેમના વારસદારો પાસેથી ફેબુ્રઆરી ૧૯૯૪માં જમીન વેચાણ દસ્તાવેજથી લીધી હતી. બાદમાં ટીપી ૧૦ આવતા રસ્તામાં ફેરફાર થયો હતો. જેથી ૧૩-૫-૨૦૦૬માં જમીનનો ફાઇનલ પ્લોટ પડયો હતો. અકુડાના અધિકારીઓએ સ્થળ તપાસ કરી ઉક્ત જમીનનો કબજો બુધાભાઈને સોંપ્યો હતો. જો કે, નજીકમાં રહેતા કમળાબેન રતનસિંહ ચાવડા તથા ગણપતસિંહ રતનસિંહ ચાવડાએ આ જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવી દીધો હતો. બુધાભાઈને આ જમીન વેચવાની હોવાથી ૨૦૨૨માં એને કરાવી પ્લોટ વેચાણ માટે મુક્યો હતો. જે અંગે પ્લોટની સાફ સફાઈ કરવા માટે જતા ગેરકાયદે કબજો જમાવનાર કમળાબેન તથા ગણપતભાઈએ આ જમીન અમારી છે અમારા બાપદાદાઓ પાસેથી તમે ખોટી રીતે વેચાણ લીધી છે અને પ્લોટમાં આવશો નહીં તેમ કહી ધમકી આપી હતી. બુધાભાઈએ વેચાણ દસ્તાવેજ સહિતના પુરાવા બતાવવા છતાં તેઓ માન્યા નહોતા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી બુધાભાઈએ આણંદ જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરતા કમિટી દ્વારા તપાસ કર્યા બાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોવાથી ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો. ગતરોજ આણંદ શહેર પોલીસે કમળાબેન રતનસિંહ ચાવડા અને ગણપતસિંહ રતનસિંહ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :