ઝાલાવાડમાં નવરાત્રીના અંતિમ દિવસે ગરબાની રમઝટ જામી
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર શહેરની અલગ-અલગ શેરી ગરબીઓમાં માહોલ જામી રહ્યો છે અને માઈભક્તો સહિત ખેલૈયાઓ રાસ-ગરબા રમી મન મુકીને માતાજીની આરાધના કરી રહ્યાં છે જ્યારે અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં દરેક ગરબીઓમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં મા જગદંબાની આરાધના પર્વ નવરાત્રીના અંતિમ દિવસોમાં શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં યોજાતા નવરાત્રી મહોત્સવમાં ભક્તની તેમજ ખેલૈયાઓની ભીડ જોવા મળી રહી છે. જ્યારે શહેરનાં પોલીસ લાઈન ખાતે જિલ્લા પોલીસ પરિવાર આયોજીત નવરાત્રી મહોત્સવમાં પોલીસ અધિકારીઓ અને તેમનાં પરિવારજનો સહિત દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને માતાજીના ગરબા ગાઈ ભક્તિમાં લીન બને છે.
આ ઉપરાંત શહેરની પ્રખ્યાત અને અર્વાચિન ગરબીઓ જેમ કે, માંઈ મંદિર, જોરાવરનગર રામજી મંદિર, વઢવાણ સતવારાપરા, જોરાવરનગર કંસારા બજાર, અલકા ચોક,શીવુભાની ગરબી, જેલ ચોક, ૮૦ ફૂટ વિસ્તારમાં ઉમિયા માતાજીના મંદિરે યોજાતી ગરબી,નવરંગ સોસાયટી,વઢવાણ વાઘેશ્વરી ચોક,સુરેન્દ્રનગર દીપુભાનો ચોક સહિતનાં વિસ્તારોમાં યોજાતી વર્ષો જૂની ગરબીમાં યુવાનો તેમજ પુરૃષોની ભીડ ઉમટી પડે છે અને મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ જોવા મળી રહી છે.


