Get The App

યુનિ.નો પદવીદાન સમારોહ સપ્ટેમ્બર મહિનામાં યોજવા માટે કવાયત

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News
યુનિ.નો પદવીદાન સમારોહ સપ્ટેમ્બર મહિનામાં યોજવા માટે કવાયત 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં આ વર્ષે પરીક્ષા પણ સમયસર લેવાઈ છે અને પરિણામ પણ સમયસર જાહેર થયા હોવાથી પદવીદાના સમારોહ પણ વહેલો યોજવા માટેની કવાયત યુનિવર્સિટી સત્તાધીશોએ હાથ ધરી છે.

મળતી વિગતો પ્રમાણે ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષની માર્ચ, એપ્રિલ  મહિનામાં લેવાયેલી પરીક્ષાના કુલ ૭૯૨માંથી ૭૭૦ પરિણામો જાહેર થઈ ગયા છે.૨૨ પરીક્ષાના જ પરિણામ જાહેર કરવાની બાકી છે.જેમાં સોશ્યલ વર્ક ફેકલ્ટી, લો ફેકલ્ટી, ટેકનોલોજી અને ફાર્મસી ફેકલ્ટીનો સમાવેશ થાય છે.આ પરિણામ પણ વહેલી તકે જાહેર થઈ જશે તેવું પરીક્ષા વિભાગના સૂત્રોનું કહેવું છે.

યુનિવર્સિટી સત્તાધીશોના કહેવા પ્રમાણે પદવીદાન સમારોહ યોજવા માટેના ડિગ્રી સર્ટિફિકેટનું પ્રિન્ટિંગ કરવા માટેના વિશેષ કાગળની ખરીદી કરવાની પ્રક્રિયા પણ શરુ કરી દેવાઈ છે.આમ આ વખતે સપ્ટેમ્બરમાં પદવીદાન સમારોહ યોજવાની અને વિદ્યાર્થીઓને ડિગ્રી આપી દેવાની સત્તાધીશોની ગણતરી છે.૨૦૨૪-૨૫ના વર્ષમાં પણ લગભગ ૧૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી મળે તેવો અંદાજ છે.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી સિન્ડિકેટે પણ સપ્ટેમ્બર મહિનામાં પદવીદાન સમારોહ યોજવાનો ઠરાવ કર્યો હતો.જોકે તેના પર ક્યારેય અમલ થઈ શક્યો નથી.દર વર્ષે યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ જાન્યુઆરી- ફેબ્રુઆરી મહિનામાં યોજાય છે.ડિગ્રી મેળવવામાં વિલંબના કારણે વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે પ્રવેશ મેળવવામાં, વિદેશ જવામાં અને નોકરી મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે.સપ્ટેમ્બરમાં સમારોહ યોજાશે તો વિદ્યાર્થીઓને ઘણી રાહત થશે.

Tags :