સુરતના લિંબાયતમાં નૂરી મસ્જિદ વિસ્તારમાં ડ્રેનેજની કામગીરીમાં ખોદેલા ખાડા લોકો માટે આફતરૂપ : કોન્ટ્રાક્ટરના પાપે લોકોની મુશ્કેલી
Surat : સુરત શહેરમાં સૌથી મજબૂત કહેવાતા લિંબાયતના ધારાસભ્યના વિસ્તારમાં જ પારાવાર ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. પાલિકાના કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીથી વેઠ ઉતારવામાં આવી છે અને હાલમાં પડેલા વરસાદના કારણે ગંદકીનું સામ્રાજ્ય થઈ રહ્યું છે. લિંબાયત નૂરી મસ્જિદ આસપાસ ડ્રેનેજ વિભાગની અધૂરી કામગીરી લોકો માટે આફત બની રહી છે લોકોની ફરિયાદ છતાં પણ પાલિકા તંત્ર એક બીજાને ખો આપી રહ્યું હોવાથી લોકોની મુશ્કેલી વધી રહી છે.
સુરત પાલિકાના લિંબાયત વિસ્તારમાં નૂરી મસ્જીદ વિસ્તાર આવ્યો છે અને તેની આસપાસ પંદરેક દિવસ પહેલાં ડ્રેનેજના કોન્ટ્રાક્ટરે ખાડા ખોદી જે તે પરિસ્થિમાં મુકી દીધા હતા. આ અંગેની ફરિયાદ છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. દરમિયાન હાલ પડેલા વરસાદના કારણે આખો વિસ્તાર કાદવીયા બની ગયો છે અને લોકોને ચાલવા સાથે વાહન ચલાવવા પણ મુશ્કેલી પડી રહી છે.
આ વિસ્તારમાં કોર્પોરેટરથી માંડીને ધારાસભ્ય અને સાંસદ સભ્ય પણ ભાજપને છે અને તેઓ સાથે અધિકારીઓને પણ અનેક ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં આ વિસ્તારની સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. વિપક્ષના સ્થાનિક નેતાએ એવો આક્ષેપ કર્યો છે કે, અહીં બધે ભાજપનું રાજ છે તેમ છતાં લોકોની દુદર્શા છે. શું ધારાસભ્ય સંગીતા પાટીલનો લિંબાયત મતવિસ્તાર સુરત મહાનગરપાલિકામાં નથી આવતો? દરેક વખતે લિંબાયતને અન્યાય થઈ રહ્યો છે અને લોકો દોઝખમાં જીવી રહ્યાં છે. જો આ સમસ્યાનું તાકીદે હલ નહી આવે તો આંદોલન કરવાની પણ વિપક્ષે ચીમકી આપી છે.