Get The App

પીરાણાએ હિન્દુઓનું ધાર્મિક સ્થાન હોઇ મહોત્સવ યોજવા જૂની પરંપરા, યજ્ઞા મહોત્સવની અરજીમાં ટ્રસ્ટનો જવાબ

Updated: Oct 14th, 2022

GS TEAM

Google News
Google News
પીરાણાએ હિન્દુઓનું ધાર્મિક સ્થાન હોઇ મહોત્સવ યોજવા જૂની પરંપરા, યજ્ઞા મહોત્સવની અરજીમાં ટ્રસ્ટનો જવાબ 1 - image

અમદાવાદ,તા.14 ઓક્ટોબર 2022,શુક્રવાર

વાસણા પીરાણા ખાતેની દરગાહ ખાતે આગામી દિવસોમાં ૫૪ કુંડી મહાવિષ્ણુયાગ યજ્ઞા સહિત ત્રિવિધ મહોત્સવના આયોજન સામે સુન્ની અવામી ફોરમ દ્વારા એક નવી સિવિલ એપ્લીકેશન દાખલ કરવામાં આવી છે. અરજદાર દ્વારા પીરાણા દરગાહ મુદ્દે થયેલી મૂળ જાહેરહિતની રિટ અરજીમાં આ અરજી કરાઇ છે. જો કે, પીરાણા દરગાહના ઇમામશાહ બાવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા અરજદારની અરજીનો જોરદાર વિરોધ કરતાં જણાવાયું હતું કે, પીરાણા દરગાહ એ હિન્દુઓનું ધાર્મિક સ્થાન છે અને વર્ષોની પરંપરા અને પ્રથા મુજબ, આ પ્રકારના મહોત્સવનું આયોજન થાય જ છે. તેથી ફોરમની અરજી ટકી શકે તેમ નથી.

સુન્ની અવામી ફોરમની મૂળ PIL જ ટકી શકે તેમ ના હોઇ નવી અરજીમાં કોઇ રાહત ના અપાય : ઇમામશાહ બાવા ટ્રસ્ટ 

વાસણા સ્થિત પીરાણા દરગાહમાં ત્રિવિધ મહોત્સવના આયોજન સામે વાંધો ઉઠાવતી થયેલી સિવિલ એપ્લીકેશનનો સખત વિરોધ કરતાં ઇમામશાહ બાવા સંસ્થાન ટ્રસ્ટ તરફથી મહત્વની રજૂઆત કરાઇ હતી કે, અરજદાર સંસ્થાએ પીરાણા દરગાહ મુસ્લિમોનું ધાર્મિક સ્થાન હોવાનો દાવો કરતી જે મૂળ જાહેરહિતની રિટ અરજી કરી છે, તે જ આ પવિત્ર સ્થળ વાસ્તવમાં હિન્દુઓનું ધાર્મિક સ્થાન હોવાના ગ્રાઉન્ડ પર ટકવાપાત્ર ના હોય ત્યારે આવી અરજીમાં હાઇકોર્ટે અરજદારને કોઇ રાહત આપવી જોઇએ નહી. વળી, આગામી તા.૧૭,૧૮ અને ૧૯ ઓકટોબર દરમ્યાન પીરાણા દરગાહ ખાતે ૫૪ કુંડી મહાવિષ્ણુયાગ યજ્ઞા, જગદ્ગુરુ પદપ્રતિષ્ઠા મહોત્સવ અને પરમજયોતિ વિલીન પર્વ એમ ત્રિવિધ મહોત્સવનું જે આયોજન કરાયું છે, તેની સામે અરજદારે ઉઠાવેલો વાંધો પણ અસ્થાને છે કારણ કે, પીરાણા દરગાહ હિન્દુઓનું ધાર્મિક સ્થાન હોઇ વર્ષોની પરંપરા અને પ્રથા મુજબ આ પ્રકારના ધાર્મિક મહોત્સવના આયોજન થતા આવ્યા છે, તેમાં કંઇ નવુ નથી. આમ, અરજદાર સંસ્થાની સિવિલ એપ્લીકેશન મેરિટ વિનાની અને અસ્થાને હોઇ ટકવાપાત્ર જ નથી, તેથી હાઇકોર્ટે આ અરજી ફગાવી દેવી જોઇએ. પક્ષકારોને સાંભળ્યા બાદ હાઇકોર્ટ કેસની વધુ સુનાવણી આવતીકાલ પર મુકરર કરી હતી.

Tags :