- મનપાની સ્વચ્છતા અને દબાણોની કામગીરીના દાવા વચ્ચે
- જગ્યા ફાળવવા છતાં લારીઓવાળા જવા તૈયાર નથી : મનપા પાલન કરાવી શકતી નથી
આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકાના જૂના બસ સ્ટન્ડ વિસ્તારમાં વર્ષો અગાઉ ફાળવેલા વેન્ડર ઝોનમાં હાલ કચરાના ઢગલાંને કારણે દુર્ગંધ ફેલાઈ છે. સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાનો ભય છે. ત્યારે લારીઓવાળા ફાળવેલી જગ્યા પર જતા નથી અને મનપા તંત્ર પાલન કરાવવામાં નિષ્ફળ રહી છે.
આણંદ શહેરમાં પાલિકાના કાર્યકાળમાં જૂના બસ સ્ટેન્ડ પાછળ ફેરિયાઓ માટે વેન્ડર ઝોન બનાવવામાં આવ્યો હતો. દીવાલ ઉપર નિશાન કરીને લારીની સંખ્યા અને ક્યાં ઉભા રહેવું તે પણ નક્કી કરાયું હતું. ચાર મહિના અગાઉ મનપાએ આ જગ્યાએ લારીઓવાળાને ફાળવી ત્યાં જવા આદેશ કર્યો હતો. કોઈક કારણોસર ટૂંકી ગલી અને બસ સ્ટેન્ડ વિસ્તારના લારી-ગલ્લાવાળા આ જગ્યાએ ધંધા- રોજગાર માટે ના જતા જગ્યાનો કચરાપેટી તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. જૂના બસ સ્ટેન્ડ પાછળ આવેલા રોડ ઉપર વેન્ડર ઝોનની જગ્યાએ જ કચરાના ઢગલાં ખડકાયેલા રહે છે. કચરાના કારણે ગંદકી સાથે ભારે દુર્ગંધ ફેલાતા ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. રખડતાં પશુઓ કચરો ફેંદતા રોડ ઉપર પ્રસરે છે. રોગચાળાના ભય સાથે સ્થાનિકો મનપાની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
કરમસદ આણંદ મનપાના સેનેટરી ઈન્સ્પેક્ટર વિભાકર રાવેનું કહેવું છે કે, વહેલી સવારે નિયમિત સફાઈ કરાય છે પરંતુ, દિવસ દરમિયાન વિસ્તારના લારીવાળા કચરો નાખી દેતા ગંદકી ફેલાય છે.


