Gujarat

વલભીપુર સફાઇના અભાવે ઠેર ઠેર ગંદકીના ઢગલા : રોગચાળાની ભીતિ

By GS TEAM
13 Sep 20251 min read
વલભીપુર સફાઇના અભાવે ઠેર ઠેર ગંદકીના ઢગલા : રોગચાળાની ભીતિ

- કોન્ટ્રાક્ટર અને પાલિકાના સફાઇ કામદારો વચ્ચે વિવાદ

- વરસાદી માહોલ હોય જંતુનાશક દવાનો છંટકાવ કરવા લોક માંગણી

વલભીપુર : વલભીપુર પાલિકાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી સફાઇના અભાવે ગંદકીના થર જામી ગયા છે. જે અંગે નથી કોન્ટ્રાક્ટર ધ્યાન આપતા કે નથી પાલિકા તંત્ર, રોગચાળો વકરે તે પૂર્વે સફાઇ કરી જંતુનાશક દવા છાંટવા લોકોની માંગ ઉઠવા પામી છે.

પાલિકા તંત્ર દ્વારા સફાઇ બાબતે મહિને લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં સફાઇ થતી નથી અનેક સ્થળો પર ગંદકીના ઢગલાઓ થતા હોય છે. તેમજ સફાઇના અમુક વિભાગો પાડીને ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ આપેલ હોય જેમાં શરતો મુજબ કામગીરી કરવામાં આવતી નથી. તો આ કામગીરી ઉપર દેખરેખ રાખનાર કર્મચારીઓએ પણ આંખ આડા કાન કરી રહીયા છે અને ચીફ ઓફિસર ચાર્જમાં હોવાથી કોઇ પરવા કરતા ન હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ પાલિકા હેઠળ આવતી સફાઇ કામગીરી પણ લાગતા વળગતા કહે ત્યાં જ સફાઇ કરે છે. જ્યાં ખરેખર જરૂરિયાત હોય ત્યાં સફાઇ નથી થતી. સફાઇ બાબતે હાલ કોન્ટ્રાક્ટરના લોકો અને પાલિકા કામદારો જવાબદારી ખંખેરી રહ્યા છે. જેના કારણે કચરાના ઢગલાઓ થાય છે. આ ગંદકીને અંકુશમાં લેવા અને રોગચાળો વકરે નહી તે માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવા માંગ ઉઠી છે.