રામ દરબારનું ચિત્ર રામ મંદિરમાં સ્થાન પામશે, ભુજના ચિત્રકારે રોગાન આર્ટ દ્વારા કર્યું તૈયાર
ભુજ નજીક આવેલા માધાપરના ચિત્રકારે ત્રણ મહિનાની મહેનત બાદ ચિત્ર તૈયાર કર્યું
Updated: Jan 4th, 2024
ભુજ, ગરુવાર
અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ પર રામ મંદિરનું (Ram Temple) નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે. જેનો આ મહિને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવશે. દિવાળીની જેમ આ મહોત્સવની ઉજવણી કરવા માટે સમગ્ર ભારતમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભુજ નજીક આવેલા માધાપર ખાતે રહેતા કલાકારે રોગાન આર્ટ દ્વારા શ્રી રામ દરબારની પ્રતિકૃતિ બનાવી છે. જે અયોધ્યામાં સ્થાન પામે તેવી મહેચ્છા છે.
રોગાન ચિત્રકળા છે વર્ષો જૂની
રોગાન ચિત્રકળા વર્ષો જૂની છે. દાયકાઓ પહેલા સાડી અને ચણીયા પર રોગન ચિત્રકળા દ્વારા અવનવી ભાત પાડવામાં આવતી હતી. જે મહિલાઓ વાર તહેવારના ટાંકણે પહેરતી હતી. પરંતુ સમય જતાં પહેરવેશ બદલાયો અને ધીમે ધીમે આ કલા નામશેષ થવાના આરે પહોંચી ગઈ. અત્યારે રોગાન કલાના વોલપીસ અને હોમ ડેકોરેશન તરીકે વપરાય છે. ફોરેનર્સ જ્યારે કચ્છ પ્રવાસે આવે છે ત્યારે રોગાન કલાને અચુક નિહાળે છે અને ખરીદી કરીને પણ જાય છે.
ચિત્ર ત્રણ મહિનાની મહેનત બાદ તૈયાર થયું
ભુજના આ કલાકારે રામ દરબારનું રોગાન આર્ટ (Rogan Art) દ્વારા આબેહુબ ચિત્ર ત્રણ મહિનાની મહેનત બાદ તૈયાર કર્યું. રામ મંદિરના બાંધકામની શરૂઆત કરાઈ ત્યારથી જ આ કલાકારને અયોધ્યા પ્રત્યે અનોખી શ્રદ્ધા હતી. આ રામદરબારની પ્રતિકૃતિને અયોધ્યામાં સ્થાન મળે તેવી મહેચ્છા આ કલાકાર ધરાવે છે. આશિષ કંસારા દ્વારા તૈયાર કરાયેલા રોગાન આર્ટના વોલપીસ અત્યારે સુરતના એરપોર્ટમાં સ્થાન પામ્યા છે.
રોગાન આર્ટમાં એરંડાના તેલ અને વનસ્પતિ રંગોની ભાત
ભુજ નજીક આવેલા માધાપર ખાતે રહેતા રોગાન આર્ટના કલાકાર આશિષ કંસારા (Ashish Kansara)એ નામશેષ થતી આ કલાને જાળવી રાખવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે. રોગાન આર્ટમાં એરંડાના તેલને સતત બે દિવસ સુધી ઉકાળવામાં આવે છે સાથે જ વનસ્પતિજન્ય રંગો ઉમેરવામાં આવે છે ત્યારબાદ આ રંગો જાડા અને ચળકદાર થાય છે. આ રંગો મારફતે કપડાં પર ચિત્ર દોરવા માટે બ્રશ કે પીંછી નહીં પણ નાની એવી લાકડી અને આંગળીના ટેરવાનો ઉપયોગ કરાય છે.