Get The App

મોરબી જુગાર કેસમાં 51 લાખનો તોડ, છ મહિને PI ગોહિલની ધરપકડ, કચ્છના આદિપુરમાં ઘરે આવતા ઝડપાયાં

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
મોરબી જુગાર કેસમાં 51 લાખનો તોડ, છ મહિને PI ગોહિલની ધરપકડ, કચ્છના આદિપુરમાં ઘરે આવતા ઝડપાયાં 1 - image


Morbi Gambling Extortion Case: વર્ષ 2024માં દિવાળીના થોડા દિવસો પહેલાં મોરબીની હોટલના રૂમમાં કોઈનથી જુગાર રમતાં મોટા માથાંઓને પકડી 51 લાખ રૂપિયાનો તોડ કરવાના કેસમાં ટંકારાના તત્કાલિન પી.આઈ. વાય.કે. ગોહિલની છ મહિને ધરપકડ કરાઈ છે. ડીજીપીએ તપાસ સોંપ્યા પછી સપાટી ઉપર આવેલા કેસની તપાસ સુરેન્દ્રનગરના ડીવાય. એસ.પી. રબારી કરી રહ્યાં છે. પરંતુ, છ મહિનાથી ભૂગર્ભમાં ઉતરેલા વગદાર પી.આઈ. ગોહિલ કચ્છના આદિપુર ખાતેના ઘરે પહોંચતા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઝડપી લીધા હતા. ટોકનથી રમાતાં જુગાર અંગે રેડ પાડી તેના 10 આરોપીના નામ મીડિયામાં ન આપવા તેમજ ફોન તથા આરોપી બદલવા માટે અર્ધા કરોડનો તોડ કરાયો હતો તેમાં સ્ટેટ સેલે તપાસ કરી ચોંકાવનારાં પુરાવા શોધી કાઢ્‌યા હતાં.

મોરબી પાસે કોઈન-જુગારમાં પકડી રોકડ મગાવી તોડનો ચર્ચાસ્પદ કેસ

વર્ષ 2024ની 26 ઓક્ટોબરે રાજકોટ  - મોરબી હાઈવે ઉપર કમ્ફર્ટ હોટલમાં ટંકારા પોલીસ સ્ટેશનના પી.આઈ. વાય. કે. ગોહિલ અને ટીમે દરોડો પાડીને 10 લોકોને જુગાર રમતાં પકડી પાડ્યાં હતાં. હોટલના રૂમમાં જુગાર રમતાં રાજકોટ અને મોરબીના શખ્સો પાસેથી 12 લાખ રોકડા, 8 મોબાઈલ ફોન, બે ફોરચ્યુનર કાર અને પ્લાસ્ટીકના કોઈન કબજે કરાયા અંગેનો વિધીવત ગુનો ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. 

જુગારના આ દરોડોના બે - ત્રણ દિવસ પછી રાજ્યના ડીજીપી પાસે એવી ફરિયાદ પહોંચી હતી કે, જુગારના સામાન્ય કેસમાં ટંકારા પોલીસે 51 લાખ રૂપિયાનો તોસ્તાન તોડ કર્યો છે. ડીજીપીએ તોડકાંડની તપાસ તેમના હસ્તકની સ્ટેટ મોનિટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી હતી. આ ઘટનાક્રમના પગલે રાજકોટ રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવે પીઆઈ ગોહિલને લિવ રિઝર્વમાં મોકલ્યા હતા અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહની બદલી કરી નાંખી હતી. 

 સ્ટેટ સેલની ટીમે તપાસ શરૂ કરતાં જ ટંકારા પોલીસે 51 લાખનો તોડ કર્યાના ને જુગાર કેસની ફરિયાદમાં પણ કાયદા વિરૂઘ્ધ ચેડાં કર્યાની વિગતો ખુલી હતી. સ્ટેટ સેલની તપાસમાં એવી વિગતો ખુલી હતી કે,  જુગાર કેસમાં મીડિયાને નામ નહીં આપવાની શરતે તેમજ આરોપી અને મોબાઈલ ફોનની ફેરબદલ કરવા માટે ગોહિલે જુદાજુદા તબક્કામાં 63 લાખ રૂપિયા મગાવ્યા હતાં. આ  63 લાખની રોકડમાંથી 12 લાખ જુગારના હોવાનું દર્શાવી બાકીના 51 લાખનો તોડ કરાયાનો ઘટસ્ફોટ સ્ટેટ સેલની તપાસમાં થયો હતો.

આ તપાસના પગલે સ્ટેટ સેલના પી.આઈ. આર. જી. ખાંટ ફરિયાદી બન્યાં અને ટંકારાના તત્કાલિન પી.આઈ. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે ડીસેમ્બર - 2024માં ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ લીંબડી ડીવાય.એસ.પી. વિશાલ રબારીને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન અદાલતી વોરંટ ઈસ્યૂ કરાયાં હતાં પણ પાંચ મહિનાથી પી.આઈ. વાય. કે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ પકડાયા નહોતાં.

પાંચ મહિના પછી પખવાડિયા અગાઉ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ તપાસનિશ ડીવાય.એસ.પી. સમક્ષ હાજર થઈ ગયા હતા અને કેફિયત આપી હતી કે, પી.આઈ. ગોહિલ કંઈક સેટિંગ થઈ જશે તેમ કહેતા હોવાથી પોતે પણ નાસતા ફરતાં હતાં. હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ પકડાયા તેના પગલે સ્ટેટ સેલ ફરી સક્રિય થઈ હતી અને વોન્ટેડ પી.આઈ. વાય.કે. ગોહિલને પકડવા માટે તેમનો પરિવાર કચ્છના આદિપુર (ગાંધીધામ) ખાતે રહે છે ત્યાં પણ વોચ ગોઠવી હતી. વાય.કે. ગોહિલ આદિપુર આવતાં જ સ્ટેટ સેલની ટીમે પકડી પાડી વઘુ તપાસ માટે તપાસનિશ અધિકારી લીમડી ડીવાય.એસ.પી.ને સોંપી દીધા છે. ગુજરાત પોલીસના ઇતિહાસમાં ચર્ચાસ્પદ બનેલાં જુગાર કેસમાં 51 લાખના તોડકાંડમાં શું તથ્યો નીકળશે તે અંગે પોલીસ તંત્રમાં અનેક ચર્ચાઓ જાગી છે.

રાજકોટથી 63 લાખ આવ્યાં તે થેલી અને 12 લાખની રિકવરી જેમાં બતાવાઈ તે થેલીના સીસીટીવીના પુરાવા

સ્ટેટ સેલની તપાસમાં એવી ચોંકાવનારી વિગતો ખુલી હતી કે, રાજકોટ-મોરબીના મોટા માથા હોટલમાં રૂમ રાખી કોઈનથી જુગાર રમી રહ્યાં હતાં  અને રોકડ રકમ હતી જ નહીં. આમ છતાં, ટંકારા પી.આઈ. ગોહિલ અને ટીમે દરોડો પાડ્યો તેમાં રાજકોટથી રોકડ મગાવીને જુગારના પટમાંથી 12 લાખની રિકવરી બતાવી હતી. જુગારની રકમની રિકવરીના પૈસા જે થેલીમાં પોલીસે દર્શાવ્યાં હતાં તે જ થેલીમાં રાજકોટથી કુલ 63 લાખની રકમ લાવવામાં આવી હતી. 

આમ, રાજકોટથી કુલ 63 લાખની રકમ જેમાં લવાઈ હતી તે થેલીના સીસીટીવી મળ્યાં હતાં. આ જ થેલીમાં ટંકારા પોલીસે જુગારની 12 લાખ રૂપિયાની રિકવરીની રકમ દર્શાવી હતી. આમ, રોકડ રકમની થેલીના સીસીટીવી ફૂટેજ મેચ થયાં તેનો સૌથી મોટો પુરાવો સ્ટેટ સેલને મળ્યો હતો. 

પૂર્વ મંત્રી દૂરના સંબંધી હોવાથી બચવાની આશામાં છ મહિના રઝળપાટ કરનાર પી.આઈ.ની ધરપકડ

આરોપી પી.આઈ. એક પીઢ રાજકારણી, પુર્વ મંત્રીના જમાઈના બનેવી થાય છે. આથી, કોઈ સેટિંગ પાડી દઈ તોડકાંડમાં બચી જવા આશાવાદી પી.આઈ. ગોહિલની આખરે ધરપકડ થઈ છે. પી.આઈ. વાય.કે. ગોહિલે બચી જવાથી તે આશાએ છ મહિના સુધી રઝળપાટ કરી હતી. આ ઉપરાંત, હાજર નહોતો તેવા શખ્સને જુગારી બતાવવા તેમજ ફોન બદલી નંખાયા અંગેના પુરાવા પણ સ્ટેટ સેલને મળ્યાં હોવાથી આકરી કાર્યવાહી કરાઈ છે.

Tags :