Get The App

રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં ત્રણ દાયકાથી કાર્યરત ફિલાટેલિ બ્યુરોને કાલથી તાળાં

- ડાક વિભાગે દેશનાં 31 ફિલાટેલિ બ્યુરો એક ઝાટકે બંધ કરવા આદેશ કર્યો

- ટપાલ ટિકિટ સંગ્રહનો શોખ ધરાવતા સૌરાષ્ટ્રનાં 400 લોકોનાં રાજકોટ બ્યુરોમાં ખાતાં હતા

Updated: Jul 10th, 2021

GS TEAM


Google News
Google News
રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં ત્રણ દાયકાથી કાર્યરત ફિલાટેલિ બ્યુરોને કાલથી તાળાં 1 - image


નબળી નેતાગીરીને કારણે સૌરાષ્ટ્રને કેન્દ્ર સરકારનો વધુ એક અન્યાય

રાજકોટ, : નબળી નેતાગીરીને કારણે કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્રને વધુ એક અન્યાય કર્યો છે. પીઆઈબી    સહિતની કેટલીક કચેરીઓ બંધ કરવામાં આવ્યા બાદ હવે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ હેઠળ  છેલ્લા ત્રણ દાયકાથી કાર્યરત ફિલાટેલિક  બ્યુરોને અચાનક  તા. ૧ર જુલાઈથી બંધ કરી દેવાનો આદેશ પોસ્ટ વિભાગનાં આ ડિવિઝનની દિલ્હી સ્થિતિ કચેરીએ આપતા સૌરાષ્ટ્રનાં ટિકિટ સંગ્રહકારોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. 

 સૌરાષ્ટ - કચ્છનાં ટિકિટ સંગ્રહનો શોખ ધરાવતા લોકો માટે એક માત્ર રાજકોટ ખાતે ફિલાટેલિક બ્યુરો ચાલુ છેેે. એપ્રિલ ૧૯૯૦ માં રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ફિલાટેલિ બ્યુરો ની શરુઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં અમદાવાદ , વડોદરા અને રાજકોટ ખાતે આ પ્રકારનાં બ્યુરો કાર્યરત હતા. કોઈ નવી ટિકિટ બહાર પડે તો આ બ્યુરોનાં ખાતા ધારકને તેમની ડિમાન્ડ મુજબ ટિકિટ અને જે મહાનુભાવો કે સ્થળ વિશેની ટિકિટ હોય તેનાં જે - તે ક્ષેત્રમાં યોગદાન અને વિશિષ્ટતાઓ વિશેની જાણકારી આપવામાં આવે છે. ટિકિટ સંગ્રહકારો આ માહિતી સાચવી રાખે છે સંશોધકો માટે પણ તે ખુબ ઉપયોગી નીવડે છે. 

રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે શરુ કરવામાં આવેલા ફિલાટેલિ બ્યુરોમાં સૌરાષ્ટ્રનાં આશરે ૪૦૦ લોકોનાં ખાતા છે. દરમિયાન ડાક વિભાગનાં ફિલાટેલિ ડિવિઝને તા. ૮ નાં રોજ વહીવટી પ્રક્રિયામાં કાપ મુકવાનાં નામે દેશનાં જુદા જુદા રાજયોમાં એક સાથે ૩૧ ફિલાટેલિક બ્યુરો તા. ૧ર મી જુલાઈથી  તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ કર્યો છે. ગુજરાતનાં ત્રણમાંથી રાજકોટ બ્યુરો બંધ કરવા હુકમ કરાયો હોય સૌરાષ્ટ્રને કેન્દ્ર સરકારે વધુ એક વાર અન્યાય કર્યો છે. સ્ટાફની અછત અને નવી ટિકીટનો ઓછો પુરવઠો જેવા સામાન્ય કારણો આપી રાજકોટ બ્યુરો બંધ કરાયો હોવાની ચર્ચા પોસ્ટ વર્તુળોમાં છે. 

Tags :