નાનીવેડની શિક્ષિકાને આપઘાતની દુષ્પ્રેરણામાં કિશોરને પુખ્ત ગણી ટ્રાયલ ચલાવવા માંગ નકારાઇ
ગુનો હીનયસ ક્રાઈમની વ્યાખ્યામાં આવતો નથી, તપાસ અધિકારીને જુવેનાઈલ જસ્ટીસ એક્ટની કલમ-15 હેઠળ અરજી આપવાનો અધિકાર ન હોવાની દલીલ
સુરત
ગુનો હીનયસ ક્રાઈમની વ્યાખ્યામાં આવતો નથી, તપાસ અધિકારીને જુવેનાઈલ જસ્ટીસ એક્ટની કલમ-15 હેઠળ અરજી આપવાનો અધિકાર ન હોવાની દલીલ
નાની વેડની ટયુશન શિક્ષિકાને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના કેસમાં સંડોવાયેલા કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરની સામે જઘન્ય ગુનાના આરોપો હોઈ પુખ્તવયનો ગણીને કેસ કાર્યવાહી ચલાવવા સિંગણપોર-ડભોલી પોલીસમથકના પીઆઈ તથા મુળ ફરિયાદીએ કરેલી માંગને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડે નકારી કાઢી છે.
સિંગણપોર-ડભોલી પોલીસમથકના હદ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય ટયુશન શિક્ષિકા સાથે બળજબરીથી સંબંધ રાખવા માટે દબાણ કરીને 30 હજારની માંગણી કરી આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના ગુનાઈત કારસામાં સિંગણપોર ડભોલી પોલીસે કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરને ડીટેઈન કરીને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો.જ્યારે તેના પિતાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ કોર્ટે જેલકસ્ટડીમાં મોકલ્યો હતો.
જે દરમિયાન સિંગણપોર-ડભોલી પોલીસમથકના તપાસ અધિકારી પીઆઈ વાય.બી.ગોહીલ તથા મૂળ ફરિયાદી તરફે પિયુષ માંગુકીયાએ કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરની વય 17 વર્ષ 11 મહીના અને 23 દિવસનો એટલે કે પુખ્ત થવાને આડે સાત જ દિવસ બાકી હોઈ તેને પુખ્ત ગણીને કેસ કાર્યવાહી ચલાવવા જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ સમક્ષ માંગ કરી હતી.જે મુજબ જુવેનાઈલ જસ્ટીસ એક્ટની કલમ -15 મુજબ બાળકિશોરની સામે જઘન્ય ગુનામાં સામેલ થાય તેવા ગુનાના આરોપો હોઈ અને પુખ્ય વયની વ્યક્તિ જેવા વિચાર ધરાવતો હોવાથી તેને બાળકિશોરને બદલે પુખ્ત ગણી કેસ કાર્યવાહી ચલાવવા માંગ કરી હતી.જેના વિરોધમાં બાળ કિશોરની તરફે કલ્પેશભાઈ દેસાઈ તથા રાકેશ મૈસુરીયાએ જણાવ્યું હતું કે બીએનએસની કલમ-108 આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો જઘન્ય અપરાધની વ્યાખ્યામાં આવતો નથી. આ ગુનો એવા હીનીયસ ક્રાઈમમાં આવતો નથી કે જેમાં ઓછામાં ઓછી સાત વર્ષથી ઓછી સજા થઈ જ ન શકે. માત્ર જુવેનાઈલ જસ્ટીસ બોર્ડને જ જુવેનાઈલ જસ્ટીસ એકટની કલમ-15 હેઠળ અધમ ગુના માટે પ્રાથમિક એસેસમેન્ટ કરવાની સત્તા છે, કોઈપણ પોલીસ અધિકારીને આ પ્રકારની અરજી કરવાનો અધિકાર નથી.જેથી તપાસ અધિકારી તથા મૂળ ફરિયાદીની અરજી નામંજુર કરવા માંગ કરી હતી.જેર્ને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડે માન્ય રાખી કાયદાની જોગવાઈને લક્ષમાં લઈને તપાસ અધિકારી તથા મૂળ ફરિયાદીની બાળ કિશોરને પુખ્ત ગણી કેસ ચલાવવાની માંગને નકારી કાઢી છે.