Get The App

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ 1 - image

Vadodara : વડોદરા શહેરના તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ યોગ્ય પ્રમાણમાં નહીં મળતી હોવાની ફરિયાદો સામાન્ય છે. જેમાં ગટર ઉભરાવવી, પીવાનો અપૂરતું પાણી, યોગ્ય રોડ રસ્તા અને ડ્રેનેજના પ્રશ્નો મુખ્ય છે. આવી જ રીતે અટલાદરા-સ્વામિ નારાયણ મંદિરના પાદરા રોડ પર જતા આવેલા સત્સંગ કોમ્પ્લેક્સમાં ડ્રેનેજ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યા છેલ્લા 15થી વર્ષથી સ્થાનિકો ભોગવી રહ્યા છે. આ વિસ્તાર રોડલાઇનથી ચારથી પાંચ ફૂટ જેટલા નીચા અંતરે હોવાથી સમસ્યા વિકટ બની છે. અગાઉ 15 વર્ષ પહેલા આ કોમ્પ્લેક્સ આસપાસમાં માત્ર 10 હજાર જેટલી વસ્તી હતી. પરંતુ હાલમાં ચારે બાજુએ મલ્ટિપ્લેક્સો અને અન્ય સોસાયટીઓ વધી જવા છતાં પણ ડ્રેનેજ લાઈનમાં કોઈ સુધારા વધારા થયા નથી. આ વિસ્તારની ડ્રેનેજ ગટર લાઈન અને કાચા રસ્તાનું યોગ્ય નિરાકરણ કોઈપણ ચમરબંધી હલ કરી શકશે નહીં તેવી ચેલેન્જ સ્થાનિકોએ આપી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

ઉલ્લેખનીય છે કે અટલાદરા-સ્વામિ નારાયણ મંદિર-પાદરા રોડ તરફના પાલિકા વોર્ડ નંબર 12માં દાયકાઓ જૂનું સત્સંગ કોમ્પ્લેક્સ બન્યું હતું. ત્યારે કોમ્પ્લેક્સ આસપાસ કોઈ વસ્તી ન હતી. સ્થાનિકોની સગવડ માટે અગાઉ ડ્રેનેજ ગટર લાઈન નાખવામાં આવી હતી. જોકે તમામ રસ્તા આજદિન સુધી કાચા જ રહ્યા હોવાના આક્ષેપો પણ કરાયા હતા. કોઈપણ વરસાદની સિઝનમાં આ વિસ્તારના અનેક મકાનો અને દુકાનોમાં પાણી ભરાઈ જાય છે. તેમજ કોઈપણ સીઝનમાં પસાર થતી વ્યક્તિને કાયમી ધોરણે ઉભરાતી ગટરના કારણે ચાલવા માટે ચોખ્ખો કાચો રસ્તો ચારે બાજુ શોધવો પડે છે. 

વારંવાર આ અંગે સ્થાનિક કક્ષાએ અને પાલિકા કચેરીએ રજૂઆત કરવા છતાં પણ વર્ષો જૂની ગટર અને રસ્તાની આ સમસ્યાનો આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. ચૂંટણી સમયે મત મેળવવાની અપેક્ષાએ નેતાઓ અને સામાજિક કાર્યકરો ઉમટી પડે છે. તમામ સમક્ષ ડ્રેનેજ ગટર ઉભરાવાનો અને કાચા રસ્તાનો પ્રશ્ન રજૂ કરવામાં આવે છે પરંતુ નેતાઓ અને સામાજિક કાર્યકરો હથેળીમાં ચાંદ બતાવીને મત મેળવીને બાદમાં દેખાતા જ નથી. ક્યારેક કોઈ કોર્પોરેટરો ઉડતી મુલાકાતે આવી જાય ત્યારે રજૂઆત કરવા છતાં પણ ગટર ઉભરાવા સહિત કાચા રસ્તાનો છેલ્લા 15 વર્ષથી કોઈ ઉકેલ આવ્યો નથી. 

જોકે આ અંગે સ્થાનિકોએ ચેલેન્જ આપી હતી કે ભવિષ્યમાં પણ આ વિસ્તારમાં ઉભરાતી ગટરો અને કાચા રસ્તાનો કોઈપણ ચમરબંધી રાજકારણી ઉકેલ લાવી શકશે નહીં એવી અમોને ખાતરી હોવાનું જણાવ્યું હતું. જોકે વારંવાર ફરિયાદ અને રજૂઆત કરવાથી ક્યારેક આવતી જેને સફાઈ ટેન્કર જેટ પંપથી સફાઈ કરે પરંતુ બે-ચાર દિવસ બાદ સમસ્યા યથાવત થઈ જાય છે.